પરપ્રાંતિય પ્રવાસીઓને વહિવટી તંત્રએ મોડી રાત સુધી રેસ્કયુ કરી બચાવી લેતા રાહતનો શ્વાસલેવાયો
(આઝાદ સંદેશ),રાજકોટ: ભાવનગર જિલ્લાના કોળીયાક સ્થિત નિષ્કલંક મહાદેવના દર્શનાર્થે તામીલનાડુના પ્રવાસીઓ આવ્યા હતા. જે સમી સાંજના બસમાં પરત ફરી રહ્યા હતા. તે વેળાએ ઉપરવાસમાં ભારે વરસાદને લઇ માલેશ્રી નદીનું પાણી રોડ પરથી વહેતું હોય જેમાંથી બસ પસાર થતા દર્શનાર્થીઓ સાથેની બસ તણાઇને ફસાઇ જતા અરેરાટી છવાઇ જવા પામી હતી.
મળતી માહિતી મુજબ ઘટનાની જાણ પોલીસ કાફલો અને ફાયર ટીમે દોડી જઇ રેસ્ક્યુ હાથ ધરી બસમાં ફસાયેલ 29 મુસાફરોને બહાર કાઢવાની જહેમત હાથ ધરી હતી. ત્યારબાદ બસમાંથી પ્રવાસીઓને બહાર કાઢી ટ્રકમાં બેસાડયા બાદ ટ્રક પણ પાણીમાં ફસાઇ ગઇ હતી. આમ મોડી રાત સુધી રેસ્ક્યુ ઓપરેશન જારી રાખ્યું છે. ભાવનગર જિલ્લામાં પડી રહેલ ભારે વરસાદને પગલે નદીઓમાં ભારે પુર આવ્યા છે ત્યારે ગત સાંજે તમીલનાડુ રાજ્યથી કોળીયાકના નિષ્કલંક મહાદેવના દર્શને એક શ્રદ્ધાળુઓની બસ આવી હતી. આ બસમાં 29થી વધુ મુસાફરો હોય જે સમી સાંજે કોળીયાક ગામના પાદરમાંથી બેઠા પુલ પરથી બસ પસાર થઇ રહી હતી તે વેળાએ પુરના પ્રવાહમાં તણાયેલી બસ પુલના એક છેડે ફસાઇને અટકી જતા ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી. ઉક્ત બનાવને લઇ જિલ્લા વહીવટી તંત્ર ફાયરબ્રીગેડ તથા પોલીસ વિભાગ દ્વારા તત્કાળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બસમાં સવાર મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવા કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પાણીના પ્રવાહના કારણે બસ આગળ સરકતી જોવા મળી હતી. જ્યારે ઉપરવાસના ભારે વરસાદના કારણે નદીનું જળસ્તર વધી રહ્યું છે ત્યારે આ મુસાફરોને ઉગારી લેવા વરસતા વરસાદમાં સેવાભાવીઓ તથા અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.