જવાબદાર અધિકારીઓની મિલીભગત અને ફરજમાં બેદરકારી, તાકીદે પગલાં લેવા માંગ
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ જિલ્લાના ખાણ ખનિજ વિભાગમાં છેલ્લા કેટલા સમયથી લોલંલોલ ચાલી રહ્યું છે. આ બાબતે ખાણ ખનિજ વિભાગની બેદરકારી છતી થઇ છે અને જે તે વિભાગના અધિકારી જવાબદાર હોય તેના ઉપર કાર્યવાહીની માંગ કોંગ્રેસના ગાયત્રીબા વાઘેલાએ કલેકટરને આવેદન આપી રજૂઆત કરી હતી. રાજકોટ જિલ્લાના બામણબોર વિસ્તારમાં કરોડો રૂપિયાની ખનિજ ચોરી થઇ રહી છે. સરકારને રોયલ્ટીનું નુકસાન થવા છતાં કોઇ પગલાં લેવાતા નથી. રાજ્યનું ખાણ ખનિજ વિભાગ નિંદ્રામાં હોય તેવા આક્ષેપો ગાયત્રીબા વાઘેલાએ કર્યા હતા. અધિકારીઓની મિલીભગતથી ખાણ ખનિજ વિભાગ દ્વારા કૌભાંડિયાઓને છાવરવામાં આવી રહ્યાના આક્ષેપો કર્યા હતા.
રાજકોટ જિલ્લાના બામણબોર વિસ્તારમાં આવેલ સરકારી ખરાબાઓ, સરકારી વીડીઓ તેમજ માયનોર ફોરેસ્ટ વિસ્તારો સહિતના વિસ્તારોમાં સરકારની કોઇપણ પ્રકારની મંજૂરી વગર ખનિજ માફિયાઓ દ્વારા સતત મહિનાઓ સુધી આધુનિક મશીનરીનો ઉપયોગ કરી મોટાપાયે ખનન કરી કુદરતી સરકારની માલિકીની કરોડો રૂપિયાની ખનિજ સંપતિની ચોરી કરવામાં આવી અને રાજ્યનું ખાણ ખનિજ વિભાગ ઘોર નિંદ્રામાં સૂતુ રહ્યું અને આવડી મોટી ખનિજ ચોરીથી ઇરાદાપૂર્વક અજાણ રહ્યું છે ત્યારે તાત્કાલિક ધોરણે આ બાબતે પગલા ભરવા રજૂઆત કરવામાં આવી હતી.