(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટના આટકોટ ખાતેના ડી.બી.ક્ધયા છાત્રાલયની મહિલા રેકટર સો સામુહીક દુષ્કર્મના કેસમાં આરોપી પરેશ રાદડીયાને ટ્રાયલ કોર્ટે પંદર દિવસમાં જ જામીન આપી દેવાતા પીડિતા તરફથી એડવોકેટ આનંદ યાજ્ઞિક તરફથી આરોપીના જામીન રદ કરાવવા હાઇકોર્ટમાં ખાસ ફોજદારી અરજી દાખલ કરાઇ છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે આરોપી પરેશ રાદડીયાને નોટીસ કાઢી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી છે. રાજકોટના આટકોટ ખાતેના ડી.બી.ક્ધયા છાત્રાલયની મહિલા રેક્ટર સાથે સામુહિક દુષ્કર્મના કેસમાં આરોપી પરેશ રાદડીયા, મધુભાઇ તધાની અને અરજણ રામમાણી વિરૂદ્ધ તા.25-7-24ના રોજ આટકોટ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરાઇ હતી. જેમાં આરોપી પરેશ રાદડીયાની તા.5-9-2024ના રેાજ ધરપકડ કરાઇ હતી. પોલીસે આ કેસમાં તા.16-9-24ના રોજ આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી દીધું હતું. દરમિયાન આરોપી પરેશ રાદડીયાએ જામીન અરજી કરતા રાજકોટ સેશન્સ કોર્ટે તા.1-10-24ના રોજ તેના જામીન મંજૂર કરી દીધા હતા. પીડિતા તરફથી હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, ટ્રાયલ કોર્ટે દુષ્કર્મના આવા અતિસંવેદનશીલ કેસમાં આરોપી પરેશ રાદડીયાને માત્ર પંદર જ દિવસમાં જામીન આપી દીધા છે. ટ્રાયલ કોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા જારી સંબધિત ચુકાદા અને માર્ગદર્શિકાને અવગણવામાં આવ્યા છે. ખાસ કરીને આરોપીને જામીન આપતા પહેલા પીડિતાનો પક્ષ ટ્રાયલ કોર્ટ દ્વારા સાંભળવામાં જ આવ્યો નથી. પીડિતા તરફથી ટ્રાયલ કોર્ટમાં આરોપીની જામીન અરજીની સુનાવણીમાં વિરોધ કરવા હેતુસર પક્ષકાર તરીકે જોડાવા અરજી પણ કરી હતી પરંતુ તેણીને સાંભળ્યા વિના જ ટ્રાયલ કોર્ટે આરોપીને જામીન આપી દીધા હતા. ટ્રાયલ કોર્ટનો હુકમ સુપ્રીમ કોર્ટના પ્રસ્થાપિત સિદ્ધાંતોની વિરૂદ્ધનો હોઇ તેને રદબાતલ ઠરાવવો જોઇએ અને આરોપી પરેશ રાદડીયાના જામીન રદ કરવા જોઇએ.