શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટએરપોર્ટ રોડ પરની ઇન્કમટેક્સ સોસા.માં તસ્કરો ત્રાટકયા : સીજીએસટીના અધિકારીનાં બંધ મકાનમાંથી...

એરપોર્ટ રોડ પરની ઇન્કમટેક્સ સોસા.માં તસ્કરો ત્રાટકયા : સીજીએસટીના અધિકારીનાં બંધ મકાનમાંથી 2.48 લાખની મત્તાની ચોરી

શિવદાસ મેનન (ઉ.વ.58) ના ઘરમાં લાગેલા કેમેરાનું ડીવીઆર અને રાઉટર પણ તસ્કરો ચોરી ગયા, સીસીટીવી કેમેરાના આધારે પોલીસની તપાસ

(આઝાદ સંદેશ), રાજકોટ : એરપોર્ટ મેઇન રોડ પરની ઇન્કમટેક્સ સોસાયટીમાં રહેતા અને રેસકોર્સ રોડ પર આવેલી સેન્ટ્રલ જીએસટી કચેરીમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે નોકરી કરતા શિવદાસ પિતાંબરભાઈ મેનન (ઉ.વ.58)ના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ. 2.48 લાખની મત્તા ચોરી કરી ગયાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ આગળ ધપાવી છે.
ફરિયાદમાં શિવદાસભાઈએ જણાવ્યું છે કે તેના બંને પુત્રો ભારત બહાર અભ્યાસ કરે છે. ગત તા. 11ના રોજ સવારે છએક વાગ્યે પત્ની, સાઢુભાઈ, તેના પત્ની અને માસીજી વગેરે સહિતના પરિવાર સાથે દ્વારકા અને સોમનાથ ખાતે દર્શન કરવા ગયા હતા. ગઇકાલે સાંજે સોમનાથથી પરત ઘરે આવીને જોયું તો દરવાજાના તાળા, નકૂચો તૂટેલા હતા. સેન્ટ્રલ લોક ખૂલ્લો હતો. જેથી અંદર જોતા તમામ સામાન વેરવિખેર પડયો હતો. ઉપરના માળે પણ તમામ સામાન વેરવિખેર પડયો હતો. નીચેના માળે આવેલા રૂમના બે કબાટ અને ઉપરના માળે આવેલા ત્રણ રૂમના પાંચ કબાટ ખુલ્લા હતા. તમામના લોક પણ તૂટેલા હતા. તપાસ કરતાં સોનાની બે બંગડી, સોનાની કાનમાં પહેરવાની ત્રણ જોડી ઝૂમકી, બે સોનાના ચેન, બે સોનાના હાર, એક મોતીનો હાર, મંદિરમાં રહેલ ચાંદીનો ઢોળ ચડાવેલી ભગવાનની નાની આઠથી દસ મૂર્તિ, ભગવાનની છાપવાળા ચાંદીના ચારથી પાંચ સિક્કા, બે ઘડિયાળ, કેમેરાનું ડીવીઆર, રાઉટર, રોકડા રૂ. 40 હજાર ગાયબ હતા. તસ્કરો મકાનના આગળના દરવાજાનો નકૂચો તોડી, સેન્ટ્રલ લોક ખોલી, અંદર પ્રવેશી ઉપર અને નીચેના માળેથી ચોરી કરી ગયા હતા. તસ્કરો રૂ. 2.08 લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણા, રૃા. 40 હજારની રોકડ મળી કુલ રૂ. 2.48 લાખની મત્તા ચોરી ગયા હતા. જે અંગે ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી કેમેરા વગેરેના આધારે તપાસ આગળ ધપાવી છે. જેમાં ક્રાઇમ બ્રાંચ ઉપરાંત એલસીબીના સ્ટાફે પણ ઝૂકાવ્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર