(આઝાદ સંદેશ), રાજકોટ : મોરબી સહિત આખા દેશને હચમચાવી દેનારી ઝૂલતા પૂલ દુર્ઘટનામાં મોરબી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.આ કેસમાં અગાઉ પીડિત પરિવારો દ્વારા અલગ અલગ ત્રણ અરજી કરી હતી જે અરજી કોર્ટે રદ કરી છે, જેથી આ દિવસમાં કેસ ફરી ચાલી શકશે અને કોર્ટે આગામી મુદ્દત 1 ઓક્ટોબર આપી છે. આ કેસના સરકારી વકીલ વિજય જાનીએ ઉમેર્યું હતું કે હવે આગામી મુદ્દતમાં પોલીસે ફાઈલ કરેલી ચાર્જશીટ ફ્રેમ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં નાના બાળકોથી લઈ વૃદ્ધ સહિત 135 લોકોનો ભોગ લેનારી મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને લગભગ 2 વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. આ કેસમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સહિત 10 આરોપી હાલ જામીન પર છોડવામાં આવ્યા છે અને મોરબી સેશન્સ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જો કે છેલ્લા કેટલાક સમયથી કેસ અત્યંત ધીમો ચાલતા હોવાના પીડિત પરિવારોએ આક્ષેપ કર્યા છે. ત્યારે હવે આ કેસમાં ફરી ઝડપ આવે તેવી શક્યતા જોવાઈ રહી છે, કારણ કે ટ્રેજેડી વિકટીમ એસોસિએશન દ્વારા સમગ્ર કેસની ફેરતપાસ સીબીઆઈ પાસે કરાવવા અને જયસુખ પટેલ સહિતના આરોપીઓ સામે 302ની કલમ ઉમેરવા તેમજ કંપનીના અન્ય ડિરેક્ટરને આરોપી તરીકે જોડવા અંગે વકિલ મારફતે અરજી કરી હતી. આ ઉપરાંત કંપનીએ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી તપાસને ગેરમાર્ગે દોરવામાં આવી રહી હોય તેવા પણ આક્ષેપ કરી આ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરતી અરજી પણ કરવામાં આવી હતી. જો કે કોર્ટ દ્વારા અરજીઓ રદ કરી દેવામાં આવી છે. અને આગામી મુદત 1 ઓક્ટોબર જાહેર કરી છે.આથી આગામી મુદ્દતમાં ચાર્જ સીટ ફ્રેમ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. તેમ સરકારી વકીલ વિજય કુમાર જાનીએ જણાવ્યું હતું.