સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતરાજ્યમાં ભારે વરસાદથી અતિ પ્રભાવિત 14 જિલ્લાના 1.69 લાખથી વધુ નાગરીકોને 8.04...

રાજ્યમાં ભારે વરસાદથી અતિ પ્રભાવિત 14 જિલ્લાના 1.69 લાખથી વધુ નાગરીકોને 8.04 કરોડની કેશડોલ્સ ચૂકવાઈ

ઘરવખરી અને કપડા સહાય માટે અત્યાર સુધીમાં 50,111 પરિવારોને રૂ. 20.07 કરોડથી વધુ રકમનું ચૂકવણું કરાયું : રાહત કમિશનર આલોકકુમાર પાંડે

(આઝાદ સંદેશ) ગાંધીનગર : ગુજરાતમાં 25 થી 30 ઓગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી આ દરમિયાન ભારે તારાજી પણ સર્જાઇ હતી અને જાન-માલહાનિ સર્જાઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ભારે વરસાદથી અતિ પ્રભાવિત જિલ્લાઓમાં જનજીવન ઝડપભેર પૂર્વવત થાય અને અસરગ્રસ્ત જરૂરતમંદ પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાયની ચૂકવણી પણ ત્વરાએ થાય તે અંગે જિલ્લા કલેકટરોને દિશાનિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીના આ દિશાનિર્દેશોના પગલે સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાયની નિયમાનુસારની ચુકવણી પ્રક્રિયા અસરગ્રસ્તોનો સરવે કરીને હાથ ધરવામાં આવી રહી છે. તદઅનુસાર, વરસાદથી અસર પામેલા જરૂરતમંદ વ્યક્તિઓ-પરિવારો કે જેમની રોજી-રોટીને અસર થઈ છે તથા ઘરવખરી સામાન તણાઈ જવાથી કે નાશ થવાથી નુકસાન થયું છે તેમને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવણી કરવામાં આવે છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા રાહત કમિશનર આલોકકુમાર પાંડે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યના વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી અને પોરબંદર, મોરબી તથા વલસાડ જિલ્લાઓમાં કુલ 1120 ટીમ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ જિલ્લાઓમાં તા. 3 સપ્ટેમ્બર સુધીમાં 1,69,561 વ્યક્તિઓને કુલ રૂ. 8.04 કરોડ રકમ કેશડોલ્સ પેટે ચૂકવવામાં આવી છે. એટલું જ નહિ, જે પરિવારોની ઘરવખરી-કપડાં વગેરે પાણીમાં તણાઈ જવાથી કે નુકસાન થવાથી નાશ પામ્યા છે, તેવા પરિવારોની સરવે કામગીરી 1160 ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ જિલ્લાઓના આવા 50,111 પરિવારોને કુલ રૂ. 20.07 કરોડથી વધુ રકમ ઘરવખરી અને કપડા સહાય પેટે ચૂકવવામાં આવી છે. વધુ વિગતો આપતા રાહત કમિશનરે ઉમેર્યું કે, આ સમયગાળા દરમિયાન માનવ મૃત્યુના કિસ્સામાં 22 મૃતકોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી કુલ રૂ. 88 લાખની સહાય ચૂકવવામાં આવી છે. સાથે જ પશુ મૃત્યુના કિસ્સામાં મૃત્યુ પામેલા 2,618 પશુઓના માલિકોને કુલ રૂ. 1.78 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં કાચા મકાનો, પાકા મકાનો, આંશિક અને સંપૂર્ણ નુકશાન પામેલા મકાન અને ઝુંપડાનો પણ સરવે હાથ ધરીને અત્યાર સુધીમાં 4,673 મકાન-ઝુંપડા માલિકોને કુલ રૂ. 3.67 કરોડથી વધુની રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ગત બે દિવસ દરમિયાન વરસેલા વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં સરવેની કામગીરી પ્રગતિમાં છે અને પરિવારો-વ્યક્તિઓની સંખ્યાની વિગતો જેમ ઉપલબ્ધ થતી જશે, તેમ ઘરવખરી-કપડા સહાય, કેશડોલ્સ, માનવ મૃત્યુ, પશુ મૃત્યુ ઉપરાંત કાચા પાકા મકાનમાં થયેલા નુકશાન માટે વધુ ચૂકવણીની પ્રક્રિયા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે, તેમ રાહત કમિશનરે ઉમેર્યું હતું. રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની 17, એસડીઆરએફની 27 તેમજ આર્મીની 09 કોલમ ઉપરાંત એરફોર્સ અને કોસ્ટગાર્ડની ટીમો દ્વારા કુલ 37,050 લોકોને રેસ્ક્યુ તેમજ 42,083 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સાથે જ, 53 વ્યક્તિઓને એરલીફ્ટ પણ કરવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર