રવિવાર, જૂન 1, 2025

ઈ-પેપર

રવિવાર, જૂન 1, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટવોર્ડ નં.2માં મધરાતે જ લાઇટ ગુલ ! સ્ટેન્ડિંગ ચેરમેનનો જામટાવર વીજ કચેરીમાં...

વોર્ડ નં.2માં મધરાતે જ લાઇટ ગુલ ! સ્ટેન્ડિંગ ચેરમેનનો જામટાવર વીજ કચેરીમાં હલ્લાબોલ

સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર સતત ચાર દિવસ સુધી રોજીંદી સમસ્યા અંગે વીજ અધિકારી રાઠોડ અને ડે. ઇજનેર ભટ્ટ અને પ્રજાપતિ સહિતનાને ફોન પર રજૂઆત કરતાં રહ્યા છતાં અધિકારીઓ નહીં ગાંઠતા આખરે મધરાતે નાગરિકોની સાથે વીજ કચેરીમાં જઇ ધમાલ મચાવતા અધિકારીઓને પરસેવો છૂટી ગયો: ઇજનેરે નિતનવા બહાના આપી ચેરમેનને પણ ગોળી પીવડાવાનો પ્રયાસ ર્ક્યો ! આખરે અધિકારીઓએ લેખિતમાં ખાતરી આપવી પડી ‘હવે વોર્ડ નં.2માં લાઇટ નહીં જાય!’

(આઝાદ સંદેશ) રાજકોટ : રાજકોટમાં વીજધાંધિયા રોજીંદા બન્યા છે અને નિંભર અધિકારીઓ પ્રજાની ફરિયાદ હલ કરવાને બદલે ફોનના રિસીવર ડાઉન કરીને આરામની પળો વિતાવી રહ્યા છે ત્યારે ગઇકાલે રાત્રે મહાનગરપાલિકાના વોર્ડ નં.2ના ભાજપના કોર્પોરેટર અને મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર છેલ્લા ચાર દિવસથી તેમના વોર્ડના અલગ અલગ વિસ્તારોમાં મધરાતે જ વીજળી ગુલ થઇ જતી હોવાની મળતી ફરિયાદોના પગલે ગઇ મધરાતે જામટાવર વીજ કચેરીએ નાગરિકો સાથે પહોંચી ગયા હતા અને જીબીયાના અધિકારી ભટ્ટ, ઇજનેર રાઠોડ અને પ્રજાપતિને ખખડાવી નાખતા અધિકારીઓને રીતસર પરસેવો છૂટી ગયો હતો. વીજ કંપનીના અધિકારીઓ વોર્ડ નં.2માં દરરોજ રાત્રે જ લાઇટ શા માટે ગુલ થઇ જાય છે તેનો કોઇ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. આથી જયમીન ઠાકરે વીજ કંપનીના એમ.ડી.ને બોલાવવા અથવા લેખિત ખાતરી આપવાની હઠ પકડતાં આખરે અધિકારીઓએ હવે રાતના સમયે વોર્ડ નં.2માં લાઇટ નહીં જાય તેવી લેખિત ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો. પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપનીમાં પેધી ગયેલા અધિકારીઓ દ્વારા વીજ સમસ્યા મુદ્દે શહેરીજનોની ફરિયાદોનો નિકાલ લાવવાની ફરજ નીભાવવાને બદલે ફરિયાદનો નિકાલ કરવામાં આવતો નથી. જવાબદાર અધિકારીઓ દ્વારા કમ્પલેઇન નંબરનો ફોનનું રિસીવર સામાન્યત: ડાઉન જ રાખવામાં આવતું હોય પ્રજાજનો ફરિયાદ નોંધાવી શકતા નથી.આવી સામાન્ય ફરિયાદો રોજીંદી બની ગઇ છે. એક તરફ ઉનાળાની આકરી ગરમીના કારણે શહેરીજનો બફારો અને ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે ત્યારે બીજીતરફ વીજતંત્ર પ્રજાને ગાંઠતું નથી અને ફરિયાદ સાંભળતું નથી. પણ, અધિકારીઓને તેમની આ કુટેવ ગઇકાલે રાત્રે ભારે પડી ગઇ હતી.
વોર્ડ નં.2ના અનેક વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી રાતના સમયે જ લાઇટ જતી હોય આ વિસ્તારના નાગરિકો દ્વારા જામટાવર કચેરીને અવારનવાર ફરિયાદો કરી હોવાછતાં સમસ્યા જેમની તેમ જ રહી હતી. મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વોર્ડ નં.2ના કોર્પોરેટર જયમીન ઠાકર પણ આ વીજ સમસ્યા અંગે જામટાવર વીજ કચેરીના અધિકારી રાઠોડને છેલ્લા ચાર દિવસથી ફોન કરીને વીજ સમસ્યા અંગે વાકેફ કરતાં હતા. આમછતાં વીજકંપનીના જાડી ચામડીના નિંભર અધિકારીઓ દ્વારા લોક સમસ્યાનો ઉકેલ નહીં લાવતા અને ગઇકાલે પણ આ વોર્ડના અનેક વિસ્તારોમાં મધરાતે જ વીજળી ગુલ થતાં ગિન્નાયેલા ચેરમેન ઠાકર મધરાતે જ આ વિસ્તારના નાગરિકોને લઇને જામટાવર વીજ કચેરીએ પહોંચી ગયા હતા અને રીતસરનો હલ્લાબોલ કરીને અધિકારીઓને ખખડાવી નાખતા અધિકારીઓને એરકન્ડિશન ચેમ્બરમાં પણ પરસેવો છૂટી ગયો હતો. ઇજનેર રાઠોડે વીજળી ગુલ થવા અંગે ચેરમેનને નીતનવા બહાના આપીને ગોળી પીવડાવવાની કોશિષ કરી હતી. પણ ચેરમેન ઠાકરે એમ.ડી.ને બોલવવા અથવા તો લેખિતમાં ખાતરી આપવાની જીદ પકડતાં લાંબી રકઝકના અંતે અધિકારીઓએ પોતાની ભુલ સ્વીકારીેને ‘હવે વોર્ડ નં.2માં રાત્રે લાઇટ નહીં જાય’ તેવી લેખિત ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વોર્ડ નં.2માં આવેલી શ્રેયસ સોસાયટી, એરપોર્ટ રોડ આસપાસની સોસાયટીઓ ભોમેશ્ર્વર સહિતના વિસ્તારોમાં રાત્રીના સમયે વીજ પુરવઠો બંધ કરી દેવાતા અબાલ વૃધ્ધોને વધુ પરેશાનીનો સામનો કરવો પડે છે. વોર્ડ નં.2માં અંદાજે 15 જેટલી હોસ્પિટલો હોય દર્દીઓને પણ ભારે મુશ્કેલી પડે છે. આકરી ગરમી અને ઉકળાટના દિવસોમાં જ વીજ કંપનીએ વીજળીગુલના આ ખેલ શરૂ કરી પ્રજાને હેરાન પરેશાન કરવાનું શરૂ કરતાં નાગરિકોમાં રોષ જાગ્યો હતો. મધરાતે બનેલી આ ઘટનામાં અધિકારીઓ રાત્રે જ વીજ પુરવઠો બંધ થવાનું સાચું કારણ આપી શક્યા નહોતા. અને જાગનાથ પ્લોટ ભોેમેશ્ર્વર એમ અલગ અલગ વિસ્તારોના નામ બોલીને આ વિસ્તારોમાં ફોલ્ટ હોવાના કારણે અને રાત્રીના સમયે ફોલ્ટ શોધવાની કામગીરીને કારણે વીજ પુરવઠો બંધ કરાતો હોવાનો ગળે ન ઉતરે એવો ખુલાસો કરતાં મામલો વધુ ગરમાયો હતો.

300 મીટરના એરિયામાં ફોલ્ટ શોધવા આખો રસ્તો ખોદવો પડે: અધિકારીઓનો બચાવ
બીજી તરફ અધિકારીઓએ અલગ અલગ વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ લાઇનમાં ફોલ્ટ હોવાનું કહીને એવો બચાવ ર્ક્યો હતો કે, આ ફોલ્ટ શોધવા મશીન મુકવું પડે અને તેમાં લાંબો સમય પસાર થઇ જાય. ફોલ્ટ મળ્યા બાદ રસ્તો ખોદવો પડે. દિવસના સમયે આ કામગીરી કરીએ તો ટ્રાફિક સહિતના મુદ્દાઓ ઉભા થાય તેમ છે. આથી રાત્રીના સમયે આ કામગીરી કરવી પડે છેે. ત્યારે ચેરમેને એવું કહ્યું હતું કે પ્રજાના કામ માટે મહાનગરપાલિકા પણ રસ્તા ખોદે છે અને દિવસે કામ કરે છે. તો પીજીવીસીએલ દિવસે કામ કેમ ન કરી શકે ? અધિકારીઓ આ સવાલનો કોઇ જવાબ આપી શક્યા નહોતા.

પીજીવીસીએલને તાળાં મારી દઇશ, એફઆઇઆર કરવી હોય તો છૂટ છે, તમારાં ઘરનું કનેક્શન કાપી જઇશ
જામ ટાવર વીજ કચેરી પર મધરાતે હલ્લાબોલ કરનારા સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર પાસે અધિકારીઓ જ્યારે વોર્ડ નં.2માં રાત્રીના સમયે જ વીજળી ગુલ થવા બાબતે ગળે ઉતરે તેવો કોઇ ખુલાસો કરી ન શકતાં જયમીન ઠાકરે ઉંચા અવાજે કહ્યું હતું કે, અમારી જેમ તમે પણ પ્રજાના સેવક છો. હું 10 વર્ષથી આ વોર્ડનો કોર્પોરેટર છું.તમે 25 હજાર નાગરિકોને હેરાન કરો છો. તમારે મારી સામે એફઆઇઆર કરવી હોય તો છૂટ છે બાકી પ્રજાને હેરાન કરશો તો પીજીવીસીએલને તાળાં મારી દઇશ અને તમારા ઘરનું કનેક્શન પણ કાપી જઇશ…

દાંત કાઢો માં… મારી સામે હસવાનું નહીં..તમે પ્રજાના પ્રતિનિધિ સાથે વાત કરો છો
આ ધાંધલ ધમાલ વચ્ચે જીબીયાના અધિકારી ભટ્ટ વાતચિત દરમિયાન હસવા લાગતાં ચેરમેન ઠાકર વધુ ગિન્નાયા હતા અને આ અધિકારીને એવું કહ્યું હતું કે પ્રજાને હેરાન કરીને દાંત કાઢોમાં ..મારી સામે હસવાનું નહીં… તમે પ્રજાના પ્રતિનિધિ છો. સાંજે છ વાગે એટલે તમારી જવાબદારી પુરી થતી નથી. પ્રજાની ફરિયાદ હલ કરવા માટે તમે 24 કલાક બંધાયેલા છો. તમે કાં તો એમ.ડી. સાથે વાત કરાવો અથવા હવે રાત્રે લાઇટ નહીં જાય તેવી લેખિત ખાતરી આપો તમે ખાલી એક વીજ કંપની સંભાળીને બેઠા છો હું આખું રાજકોટ સંભાળીને બેઠો છું…તમે પ્રજાની ફરિયાદોને મજાક સમજો છો?

સંબંધિત સમાચાર

તાજા સમાચાર