કમિશનર પાસે દરખાસ્ત કરાવાયા બાદ સિલેક્શન કમિટી દ્વારા નિર્ણય લેવાશે: સ્ટેન્ડિંગ ચેરમેન
(આઝાદ સંદેશ) રાજકોટ: મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણીની કાર્યપધ્ધતિ સામે શાસકપક્ષ ભાજપના 66 કોર્પોરેટરોએ ઉઠાવેલા વિરોધના સુર વચ્ચે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પુર્વે મળેલી સંકલન સમિતિની બેઠકમાં ફરીથી કોર્પોરેટરો દ્વારા આરોગ્ય અધિકારીને બરતરફ કરવા માટે એકસુરે રજુઆત કરવામાં આવી હતી. આ મુદ્દે કમિશનર પાસે દરખાસ્ત કરાવવાનો નિર્ણય લેવાયો હોવાનું સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે વાતચિતમાં કહ્યું હતું.
સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે મિડિયા સાથે વાતચિતમાં કહ્યુ હતું કે, મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણીની કાર્યપધ્ધતિથી શાસકપક્ષના કોર્પોરેટરો લાંબા સમયથી નારાજ હતા. અને અવારનવાર ડો. વંકાણી સામે પગલાં લેવા માટે રજુઆતો કરવામાં આવતી હતી. આજે સંકલન સમિતિની બેઠકમાં પણ ભાજપના 66 કોર્પોરેટરોએ આરોગ્ય અધિકારી સામે પગલાં લેવાની એકસુરે રજુઆત કરી હતી. આથી, ડો. વંકાણીને બરતરફ કરવા સુધીના આકરાં પગલાં લેવાનો નિર્ણય લેવાયો છે. આ માટે કમિશનરને દરખાસ્ત કરવા ભલામણ કરવામાં આવશે. અને આ દરખાસ્ત આવ્યા બાદ સિલેક્શન કમિટી આરોગ્ય અધિકારીને બરતરફ કરવાનો નિર્ણય લેશે.અને જનરલ બોર્ડમાં તેનો ઠરાવ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણી સામે શાસક પક્ષ ભાજપના 66 કોર્પોરેટરોએ ગત તા.19ના રોજ પણ ફરિયાદ કરી હતી. ત્યારે, સ્ટેન્ડિંગ ચેરમને કમિશનરનું ધ્યાન દોરી કડક પગલાં લેવાનું જણાવતા કમિશનર તુષાર સુમેરાએ આરોગ્ય અધિકારીની નાણાંકિય સત્તામા કાપ મુકતો હુકમ ર્ક્યો હતો. આરોગ્ય અધિકારી પોતાની મરજી મુજબ કામ કરતાં હોવાની અને તેમની કાર્યપધ્ધતિ અને ગડબડ સહિતની અનેક રોષપુર્ણ ફરિયાદ કરી હતી. કોર્પોરેટરોએ એવી ફરિયાદ કરી હતી કે આરોગ્ય અધિકારી તેઓને સહકાર આપતા નથી. અને, તેઓની નકારાત્મક કાર્યપધ્ધતિ છે. ચૂંટાયલી બોડીના કોર્પોરેટરોની રજુઆતો અને ફરિયાદોના પગલે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે આ મુદ્દે કમિશનર તુષાર સુમેરા સાથે લંબાણપુર્વકની ચર્ચા કરીને આરોગ્ય અધિકારી સામે જરૂરી પગલાં લેવા રજુઆત કરી નાણાંકિય સત્તામાં કાપ મુકવા સહિતના હુકમ કરવા રજુઆત કરી હતી.
સ્ટેન્ડિંગ ચેરમેનની આ રજુઆતના પગલે કમિશનર તુષાર સુમેરાએ તા.19ના રોજ હુકમ કરીને આરોગ્ય અધિકારીની નાણાકીય સતાઓ પર કાપ મુકી દીધો હતો. જેમાં આ આરોગ્ય અધિકારીએ કોઇપણ નાણાંકિય ખર્ચ કરતા પહેલા મહાનગરપાલિકાના ડે. કમિશનર અને ડે. કલેકટરની મંજૂરીઓ લેવી પડશે તેમ જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કેે, મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હસ્તક જુદા-જુદા વોર્ડમાં આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. અને, શહેરનાં લોકોની આરોગ્ય વિષયક પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. વહીવટી સરળતા ખાતર આરોગ્યશાખાની રોજબરોજની કામગીરીની દેખરેખ કિર્તન એ.રાઠોડ (નાયબ કલેકટર-મધ્યાહન ભોજન)ને હાલની કામગીરી ઉપરાંત વધારાની કામગીરી તરીકે સુપ્રત કરવાનો હુકમ કરવામાં આવી છે.આવી જ રીતે, આરોગ્ય શાખાની તમામ નાણાંકિય બાબતોની વિગતો નાયબ કમિશનર (આરોગ્ય)નાં ધ્યાને મુકવાની રહેશે. આ કામગીરીનું ચુસ્ત સુપરવિઝન નાયબ કમિશનર (આરોગ્ય)એ કરવાનો આદેશ પણ કમિશનર દ્વારા આ હુકમમાં કરવામાં આવ્યો હતો.આ પછી દસ જ દિવસમાં આરોગ્ય અધિકારીને બરતરફ કરવાનો નિર્ણય લેવાયો છે.
અધિકારીને બરતરફ કરવા પ્રિન્સીપલ સેક્રેટરીની મંજૂરી પણ જરૂરી
આગામી ટુંક સમયમાં આરોગ્ય અધિકારીને બરતરફ કરવા માટે કમિશનર દ્વારા દરખાસ્ત કરાશે. આ પછી સિલેક્શન કમિટી આ માટે ઠરાવ કરીને જનરલબોર્ડમાં મુકશે. અને ત્યારબાર રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ આ ઠરાવ ઉપર આખરી નિર્ણય લઇ શકાશે. સામાન્યત: આ વહિવટી પ્રક્રિયા હોય છે. ત્યારે જનરલ બોર્ડમાં ઠરાવ થઇ ગયા બાદ આખરી નિર્ણય રાજ્યના અર્બન ડેવલલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવશે.