રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડીમોલેશન દરમિયાન પાણીની બોટલના બિલને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે ઉમિયાજી મંડપના સંચાલક શૈલેષ ઉર્ફે પિન્ટુ દેસાઈએ સમગ્ર મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2023માં મળેલા રેટ કોન્ટ્રાક્ટ મુજબ પાણીની એક બોટલનો દર રૂ. 8 નક્કી કરવામાં આવ્યો હતો અને તે જ દર મુજબ બિલ રજૂ કરવામાં આવ્યું છે.
શૈલેષ દેસાઈએ જણાવ્યું કે તેઓએ બજારમાંથી પાણીની બોટલો રૂ. 3.50થી 4ના ભાવે ખરીદી હતી, પરંતુ સરકારી રેટ કોન્ટ્રાક્ટમાં જે દર મંજૂર કરવામાં આવ્યો હતો તે મુજબ જ બિલ મૂકવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બિલ તૈયાર કરવાની પ્રક્રિયામાં કોઈ અધિકારીની વ્યક્તિગત ભૂમિકા નથી અને રેટ કોન્ટ્રાક્ટ મુજબ જેટલી બોટલો સપ્લાય કરવામાં આવી હતી તે પ્રમાણે જ બિલ રજૂ કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે તેમનો કોન્ટ્રાક્ટ ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થઈ ગયો હતો. જોકે, નવો કોન્ટ્રાક્ટ ફાળવવામાં ન આવે ત્યાં સુધી અગાઉના કોન્ટ્રાક્ટર તરીકે કામગીરી ચાલુ રાખવાની જવાબદારી તેમની રહેતી હતી. જંગલેશ્વર ડીમોલેશન દરમિયાન સ્થાનિક ચૂંટણી નજીક હોવાથી નવો કોન્ટ્રાક્ટ રિન્યૂ થઈ શક્યો નહોતો અને અગાઉના કરાર મુજબ જ કામગીરી કરવામાં આવી હતી.
શૈલેષ ઉર્ફે પિન્ટુ દેસાઈએ અંતમાં જણાવ્યું કે હવે નવા રેટ કોન્ટ્રાક્ટમાં પાણીની બોટલનો દર રૂ. 4.50 નક્કી કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં તેઓ આ નવા દર મુજબ જ સપ્લાય આપવા માટે બંધાયેલા છે. તેમના આ નિવેદન બાદ પાણીની બોટલના બિલને લઈને ચાલી રહેલી ચર્ચામાં વધુ એક મહત્વનો પક્ષ સામે આવ્યો છે.


