લૈયારા ગામના નટુભા જાડેજા (ઉ.વ.64) અને તળશીભાઈ શીંગાળા (ઉ.વ.67) સણોસરા ગામે રહેતા તેના એક મિત્રની તબિયત સારી ન હોય ખબર અંતર પુછવા જતા’તા ત્યારનો બનાવ : બંનેને રાજકોટની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હોય જ્યાં સારવારમાં દમ તોડ્યો
રાજકોટ : રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી તાલુકાના સણોસરા ગામના પાટીયે કારે ઠોકર મારતા બાઈક સવાર બે વૃદ્ધ મિત્રોના મોત નિપજ્યા હતા. બંને વૃદ્ધ સણોસરા ગામે બિમાર પોતાના મિત્રની ખબર પૂછવા જતા હતા ત્યારે તેઓને અકસ્માત નડ્યો હતો. બંને ઈજાગ્રસ્ત વૃદ્ધને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે દમ તોડી દીધો હતો.
મળતી માહિતી મુજબ, ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતા દેવેન્દ્રસિંહ નટુભા જાડેજા (ઉં.વ.45)એ ધ્રોલ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તા. 28 જુલાઇના રોજ સવારના દશેક વાગ્યાની આસપાસ હું મારા ઘરે હાજર હતો ત્યારે મારા પિતા નટુભા સીદુભા જાડેજા(ઉંમર વર્ષ 64)એ મને કહેલ કે, સણોસરા ગામ ખાતે રહેતા મારા મિત્ર બાબભા જાડેજાની ખબર અંતર પૂછવા માટે હું તથા આપણા ગામના તળશીભાઈ કુરજીભાઈ શીંગાળા(ઉ.વ.67) બંને સણોસરા ગામ ખાતે જઈએ છીએ.
મારા પિતા અમાં જીજે-10-ડીજી-9790 નંબરનું મોટર સાયકલ લઈને નીકળેલ હતા. ત્યારબાદ સાડા દસેક વાગ્યાની આસપાસ હું મારા ઘરે હાજર હતો ત્યારે સણોસરા ગામના મારા મિત્ર રવિરાજસિંહ જાડેજાનો ફોન આવેલ અને મને વાત કરેલ કે, તમારા પિતાનું તથા તમારા ગામના તળશીભાઈ શિંગાળાનું જામનગર-રાજકોટ હાઇવે રોડ સણોસરા ગામના પાટીયા સામે રોડ ઉપર અકસ્માત થયેલ છે. જેથી તમે તાત્કાલિક આવો. તેમ વાત કરતાં હું મારી કાર લઈને સણોસરા ગામના પાટીયા પાસે ગયો. ત્યાં માણસો ભેગા થયેલ હતા અને મારા પિતાને રોડની સાઈડમાં સુવડાવેલ હતા અને મારા પિતાને માથાના ભાગે તથા બંને પગ અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી.
અમારા ગામના તળશીભાઈ શિંગાળાને પણ રોડ ઉપર સુવડાવે હતા અને તેમને માથાના તથા કપાળમાં તથા જમણા પગની પીંડીમાં ગંભીર ઇજાઓ થયેલ હતી. મારાં પિતાનું મોટર સાયકલ અકસ્માત થયેલ હાલતમાં રોડની સાઈડમાં પડેલ હતું. મારા પિતાના બાઈક સાથે અકસ્માત કરનાર જીજે-03-એમએચ-2050 નંબરની અર્ટિગા કાર અકસ્માત થયેલ હાલતમાં પડેલ હતી.
મારા પિતાને બનાવ બાબતે પૂછતા મને જણાવેલ કે, મોટરસાયકલ હું ચલાવતો હતો અને પાછળ તળશીભાઈ બેસેલ હતા. સણોસરા ગામના પાટીયા પાસે પહોંચતા, સણોસરા ગામ તરફ વળવા જતા અચાનક જામનગર તરફથી આવતી કારના ચાલકે તેમની કાર અમારા મોટર સાયકલ સાથે અથડાવી હતી. વધુમાં દેવેન્દ્રસિંહએ જણાવ્યું કે, કોઈ રાહદારીએ 108 એમ્બ્યુલન્સને ફોન કરેલ.
મારા પિતા નટુભા તથા તળશીભાઇને રાજકોટ સિનર્જી હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરાયા હતા. બપોરના એકાદ વાગ્યાની આસપાસ તળશીભાઈ કુરજીભાઈ શિંગાળા (ઉં.વ.67, રહે.લૈયારા ગામ, મહાદેવનગર, તા.ધ્રોલ જિ.જામનગર)ને ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને સારવાર દરમિયાન મરણ ગયેલ જાહેર કરેલ છે. તેમના બંને દીકરા હરેશભાઈ શિંગાળા તથા સંજયભાઈ શિંગાળા અહીં સિનર્જી હોસ્પિટલ રાજકોટ ખાતે આવી ગયેલ હતા.
આ તરફ ધ્રોલ પોલીસે બનાવ અંગે અર્ટિગા કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. બાદમાં સારવાર દરમ્યાન નટુભા સિંદુભા જાડેજા (ઉં.વ.64, રહે.લૈયારા ગામ, તા.ધ્રોલ, જિ. જામનગર)નું પણ ચાલુ સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવથી લૈયારા ગામમાં ગમગીની છવાઈ હતી. અને મૃતકોના પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો.


