સમગ્ર સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો એટલે દર વર્ષે જન્માષ્ટમી નિમિત્તે યોજાતો રાજકોટનો રંગીલો, ભાતીગળ લોકમેળો, 12થી 15 લાખ માનવ મેદની ઉમટી પડે છે
અટલ સરોવરની સામેની જમીનમાં લોક મેળાનું આયોજન કરવા માટે જમીન સમથળ સહિતનો રૂ.18 કરોડનો ખર્ચ : સરકાર પાસે ગ્રાન્ટની માંગ કરાઇ : નાની રાઇડસની ટિકિટ મહત્તમ રૂ.35 અને મોટી રાઇડસના રૂ.45 નક્કી કરવામાં આવ્યા છે : ફોર્મ સાથે જ ટિકિટના ભાવ નક્કી કરી દેવામાં આવ્યા
ગત વર્ષે રેસકોર્સ મેદાનમાં 235 સ્ટોલનું આયોજન કરાયુ હતુ, આ વખતે સ્ટોલ, પ્લોટ વધે તેવી શકયતા
(આઝાદ સંદેશ), રાજકોટ : આગામી ઓગષ્ટની તા.14થી 18 સુધી સમગ્ર સૌરાષ્ટ્રનો રંગીલો રાજકોટનો ભવ્ય લોકમેળાનું આયોજન જિલ્લા વહિવટી તંત્ર તરફથી તૈયાર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. લોકમેળામાં રમકડાં, ખાણીપીણી તેમજ યાંત્રિક રાઇડસના પ્લોટ, સ્ટોલ વિગેરે માટે દર વર્ષ કરતાં આ વખતે ફોર્મનું વિતરણ બે મહિના પહેલા હાથ ધરવામાં આવ્યું છે. તા. 9થી 13 ફોર્મનું વિતરણ કરવામાં આવશે. બીજી તરફ આ વખતે લોકમેળો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ યોજાશે. એસઓપીના ચૂસ્ત અમલ માટે ખાસ વ્યવસ્થા જિલ્લા વહિવટી તંત્ર તરફથી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ નવા રેસકોર્સમાં લોકમેળો યોજવા ગ્રાઉન્ડને સમથળ કરવા ખર્ચ વધી જાય તેમ છે.
સ્થળ ફેરફાર માટે વહિવટી તંત્રએ સરકાર પાસે રૂ.18 કરોડની માંગણી કર્યાનું ટોંચના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. અટલ સરોવર પાસે જમીન સમથળ કરવા તંત્ર પાસે ગ્રાન્ટની રકમ નથી. સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે.
લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા. 14-8-25 થી 18-8-25 સુધી પાંચ દિવસ દરમિયાન લોકમેળાનુ આયોજન કરવામાં આવ્યું છે. મેળા અન્વયે રમકડા-ખાણીપીણી વગેરેના સ્ટોલ/પ્લોટ માટે ફોર્મ ભરવા ઇચ્છુક અરજદારો તા.9-6-25થી તા. 13-6-25 સુધીમાં ઇન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે અને નાયબ કલેકટર કચેરી, પ્રાંત (શહેર-1) જૂની કલેકટર કચેરી, રાજકોટ ખાતેથી સવારના 11:00 થી બપોરના 16:00 કલાક દરમિયાનમાં રૂ. 200 ચૂકવી અરજીપત્રક મેળવી ઈન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન, રાજકોટ ખાતે અરજી ફોર્મ ભરી તેમાં દર્શાવેલ રકમના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ભરેલ અરજી પત્રક રજૂ કરી શકશે. અરજી નિયત ફોર્મમાં જ આપવાની રહેશે તેમજ જુદી જુદી કેટેગરીની કિંમતની પૂરેપૂરી રકમ, ટેક્સની સૂચિત રકમ તથા ડીપોઝિટની પૂરેપૂરી રકમ મળીને અધ્યક્ષ, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટ”ના નામનો કુલ રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે રાખીને ભરેલ ફોર્મ આપવાનું રહેશે. સમિતિ દ્વારા સ્ટોલ પ્લોટની હરરાજી અને ડ્રો માટે તારીખો જાહેર કરવામાં આવી છે. જે અનુસાર કેટેગરી-બી રમકડાના 120 સ્ટોલ, કેટેગરી-સી ખાણીપીણીના 06 સ્ટોલ તા. 23-6-25 સોમવારના 11:00 કલાકે, કેટેગરી-જે મધ્યમ ચકરડીના 3 પ્લોટ, કેટેગરી કેની નાની ચકરડીના 12 પ્લોટની તા. 23-6-25 સોમવાર સવારે 11:30 કલાકે હરરાજી રાખવામાં આવી છે.
આ ઉપરાંત તા.24-6-25 મંગળવારના રોજ કેટેગરી-એ ખાણીપીણી મોટીના 2 પ્લોટ અને બી1/કોર્નર ખાણીપીણીના 44 પ્લોટ માટે સવારે 11:30 કલાકે તથા યાંત્રિક કેટેગરી-ઈના 5, એફના 3, જીના 20 અને એચના 6 પ્લોટની હરરાજી તા.25-6-25 બુધવારના સવારે 11:30 કલાકે અને તા.26-6-25 ગુરૂવારે કેટેગરી- એકસ આઇસ્ક્રીમના 16 પ્લોટ તથા કેટેગરી ઝેડ- ટી કોર્નરના 1 પ્લોટ માટે સવારે 11:30 કલાકે હરરાજી કરવામાં આવશે. તમામ સ્ટોલ- પ્લોટના ડ્રો અને હરરાજી નાયબ કલેકટર કચેરી, પ્રાંત રાજકોટ (શહેર-1) જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડ, મીટીંગ રૂમ રાજકોટ ખાતે યોજાશે.
યાંત્રિક કેટેગરીમાં ફોર્મ ભરેલ અરજદાર ઈ,એફ,જી,એચ તમામ કેટેગરીની હરરાજીમાં ભાગ લઈ શકશે. કેટેગરી જે અને કે નું ફોર્મ ભરનાર અરજદારએ રાજકોટ મહાનગરપાલિકાનો રેસકોર્સ મેદાન ખાતેનો એલોટમેન્ટ લેટર રજુ કરવાનો રહેશે ત્યાર બાદ જ ફોર્મ સ્વીકારવામાં આવશે. જે અને કે કેટેગરીમાંથી કોઈ પણ એક જ કેટેગરીમાં ફોર્મ રજૂ કરી શકાશે. જેમાં કેટેગરી જે તથા કે માટેના પ્રવેશદર મહત્તમ રૂ. 35, ઈ,એફ,જી,એચ યાંત્રિક કેટેગરીની આઈટમોના પ્રવેશ દર મહત્તમ રૂ.45 લેવાના રહેશે.
લોકમેળાનો નકશો નાયબ કલેક્ટર કચેરી, રાજકોટ (શહેર-1)પ્રાંત, જૂની કલેકટર કચેરી ખાતે નોટિસ બોર્ડ પર કચેરી સમય દરમિયાન જોઈ શકાશે. કેટેગરી-એકસની હરરાજીમાં કોઈ પણ વ્યક્તિ કે કંપની ભાગ લઈ શકશે તેમજ પોતાની આઈસ્ક્રીમ કંપનીની જાહેરાત સ્ટોલમાં કરી શકશે તેમ અધ્યક્ષ, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટ (શહેર-1)ચાંદની પરમારે જણાવ્યું હતું.
કોરોનાને ધ્યાનમાં રાખી લોક મેળામાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એસઓપીનો કડક અમલ કરાવાશે કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ ડે. કલેકટર ચાંદની પરમાર દ્વારા મેળાની તૈયારીઓ શરૂ
લોકમેળામાં નાની-મોટી રાઇડસનું ભાવ બાંધણું પણ કરી દેવામાં આવ્યું
આગામી તા. 14 ઓગષ્ટથી સતત પાંચ દિવસ સુધી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં રંગીલા લોકમેળાનું જિલ્લા વહિવટી તંત્ર તરફથી ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ મેળામાં પાંચ દિવસ દરમિયાન 12થી 15 લાખ કરતા વધારે માનવ મેદની ઉમટી પડે છે તેને ધ્યાનમાં રાખી સાતમ, આઠમના દિવસે યાંત્રિક રાઇડસના ધંધાર્થીઓ તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલી રાઇડસની ટિકિટ કરતા વધારે પૈસા પડાવવામાં આવતા હોય છે. જેને ધ્યાનમાં રાખી અને લોકમેળામાં પ્લોટના ડ્રો બાદ ટિકિટ વધારાની સ્ટોલ ધારકો માંગણી ન કરે તે બાબતોને ધ્યાનમાં રાખી જિલ્લા વહિવટી તંત્ર તરફથી અત્યારથી જ (ફોર્મ લેતી વખતે) ટિકિટના ભાવ નક્કી કરી દેવામાં આવ્યા છે. તા. 9થી 13 દરમિયાન ફોર્મનું વિતરણ અને તા. 23 જૂનથી 26 દરમિયાન રમકડાં, આઇસ્ક્રીમ, યાંત્રિક રાઇડસ, ખાણીપીણીના સ્ટોલ, પ્લોટના ડ્રોની હરરાજી યોજાશે.
લોકમેળાના નામકરણ માટે શહેરીજનો પાસેથી અરજીઓ મંગાવવામાં આવશે
દર વર્ષની જેમ લોકમેળાનું શું નામ રાખવું ? તે બાબતે અવઢવ સર્જાય છે. આ વખતે પણ રંગીલા રાજકોટવાસીઓ પાસેથી લોકમેળાના નામકરણ બાબતે અરજીઓ મંગાવવામાં આવશે. જેના તરફથી શ્રેષ્ઠ નામ આવ્યું હોય અને પસંદગીની કમિટીએ પસંદ કર્યું હશે તેને પ્રોત્સાહિત કરાશે. પ્રોત્સાહિત રકમ પણ આપવામાં આવતી હોય છે. દરમિયાન સંભવિત લોકમેળાના ઉદઘાટન માટે મુખ્યમંત્રીનો સમય પણ આગામી દિવસોમાં કલેકટર દ્વારા માંગવામાં આવશે. તા. 14ના રોજ સાંજે રાંધણછઠ્ઠના દિવસે રાજકોટના રેસકોર્સ ખાતેના લોકમેળાનો પ્રારંભ થશે.