રાજકોટ મહાનગર પાલિકાના પદાધિકારીઓએ ગઈકાલે સિવિક સેન્ટરની મુલાકાત દરમિયાન નાગરિકોને પડતી અગવડતાઓનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન વિવિધ કામો માટે આવેલા અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડતી હોવાનું અને બેસવાની પૂરતી વ્યવસ્થા ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ખાસ કરીને ઉનાળાની ગરમીમાં વૃદ્ધો, મહિલાઓ અને દિવ્યાંગ નાગરિકોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાનું સામે આવ્યું હતું.
આ બાબતને ગંભીરતાથી લઈને પદાધિકારીઓએ સ્થળ પર જ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જરૂરી વ્યવસ્થા ઉભી કરવા સૂચના આપી હતી. સૂચનાના પગલે અરજદારો માટે વધારાની ખુરશીઓ ગોઠવવામાં આવી હતી તેમજ પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી. ગરમીથી રાહત મળે તે માટે છાશના વિતરણની પણ શરૂઆત કરવામાં આવી છે, જેથી કામકાજ માટે આવતા નાગરિકોને કોઈ અસુવિધા ન થાય.
મનપાના સૂત્રોના જણાવ્યા મુજબ સિવિક સેન્ટરને વધુ નાગરિકમૈત્રી બનાવવા માટે આગામી સમયમાં પણ વિવિધ સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. નાગરિકોને ઝડપી અને સરળ સેવાઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પદાધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે લોકોની સુવિધા અને સંતોષને પ્રાથમિકતા આપીને કામગીરી કરવામાં આવશે.


