રાજકોટમાં આજે 14 એપ્રિલે ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજ્યંતી ઉત્સાહભેર ઉજવાઈ હતી. શહેરના હોસ્પિટલ ચોક ખાતે આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ભાજપના આગેવાનો દ્વારા ફૂલહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ અવસરે ભાજપના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રતિમાને ફૂલોથી સજાવીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને બાદમાં કેક કટિંગ કરીને જન્મજ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે આગેવાનો દ્વારા બાબાસાહેબના વિચારો અને દેશ માટેના તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. તેમજ સમાજમાં સમાનતા, ન્યાય અને બંધારણીય મૂલ્યોને આગળ વધારવાની પ્રતિજ્ઞા પણ લેવાઈ હતી.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે 14 એપ્રિલે દેશભરમાં બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી ધામધૂમથી ઉજવવામાં આવે છે, અને વિવિધ સામાજિક તેમજ રાજકીય સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.


