મોરબીમાં નિર્માણાધીન સ્વામિનારાયણ મંદિરના બાંધકામ દરમિયાન નીકળતો કાટમાળ અને માટી મચ્છુ નદીના પટમાં ઠાલવવામાં આવી રહી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોમાં આ મુદ્દે રોષ ફેલાયો છે અને નદીના કુદરતી વહેણને નુકસાન પહોંચવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ મંદિરના બાંધકામને લઈને અગાઉ પણ મચ્છુ નદીના પટમાં દબાણ અને નિયમોનું ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદો ઉઠી હતી. ફરિયાદોના આધારે જિલ્લા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં કેટલાક બાંધકામો નિયમોની વિરુદ્ધ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું.
મોરબી નગરપાલિકાએ અગાઉ અનેક નોટિસો ફટકારી બાંધકામ દૂર કરવા સૂચનાઓ આપી હતી. તંત્રનું માનવું છે કે નદીના નિયંત્રણ વિસ્તારની અંદર થતા બાંધકામો અને કચરાના નિકાલથી ચોમાસા દરમિયાન પૂરનું જોખમ વધી શકે છે તેમજ નદીના વહેણને અસર થઈ શકે છે.
આ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. બીજી તરફ તંત્ર દ્વારા મામલાની તપાસ અને જરૂરી પગલાં લેવાની પ્રક્રિયા ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.


