(આઝાદ સંદેશ),રાજકોટ: પ્રસિદ્ધ જમજીર ધોધ નજીક કેક કાપી જન્મદિનની ઉજવણી કરવાનો આનંદ રાજકોટના દંપતિને ભારે પડી ગયો છે. આ મામલે મામતલદારની અરજી આધારે કોડીનાર પોલીસે દંપતિ અને હોમ સ્ટેના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ગીરગઢડા તાલુકાના જામવાળા ગીરથી કોડીનાર જતા રોડ પર ઘાંટવડની સીમમાં પ્રસિદ્ધ જમજીરનો પ્રાચીન ધોધ આવેલો છે. અહીં જમજીર હોમ સ્ટે નામના રિસોર્ટમાં રાજકોટના સંજયભાઇ પોલાભાઇ પીપળીયા અને તેના પત્ની સરોજબેન ઉતર્યા હતા. રોકાણ દરમિયાન દંપતિએ ધોધની સાવ નજીક કેક કાપી જન્મદિનની ઉજવણી કરી હતી. આ માટે ધોધથી નજીક 10 થી 20 મીટરના અંતરે કેક અને ટેબલની વ્યવસ્થા હોમ સ્ટેના સંચાલક ફાલ્ગુનસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (રહે.ઘાંટવડ)એ કરી આપી હતી. બાદમાં જન્મદિનની ઉજવણીનો ફોટો સોશ્યલ મીડિયા ફેસબુકમાં મુકી વાયરલ કર્યો હતો. જેની જાણ થતા કોડીનાર મામલતદાર કચેરીના સર્કલ ઇન્સપેક્ટર અને મહેસુલ મંત્રીએ તપાસ કરી મામલતદારને રીપોર્ટ સોપતા તેઓએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જે આધારે કોડીનાર પોલીસના હે.કો.હરેન્દ્રસિંહ ભીખુભાઇ ગોહેલે ખુદ ફરિયાદી બની રાજકોટના દંપતિ અને રીસોર્ટના સંચાલક સામે ગીર સોમનાથ જીલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.