નર્મદા જિલ્લા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામોમાં આમ આદમી પાર્ટીનો દબદબો રહ્યો છે. જિલ્લા પંચાયતમાં AAP 14 બેઠકો સાથે આગળ, ભાજપને 8 બેઠકો મળી.
નર્મદા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર લાવ્યો છે. જિલ્લા પંચાયતમાં ભાજપે 8 બેઠકો જીતી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 14 બેઠકો મેળવી સ્પષ્ટ આગળ વધી છે. બીજી તરફ, કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયો છે.
તાલુકા પંચાયતના પરિણામોમાં પણ રસપ્રદ ચિત્ર સામે આવ્યું છે. ગરુડેશ્વર, સાગબારા, ચીખડા અને ડેડીયાપાડા તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટીએ કબ્જો કર્યો છે. જ્યારે તિલકવાડા અને નાંદોદ તાલુકા પંચાયત ભાજપના ખાતામાં ગયા છે. આમ, કુલ 6 તાલુકા પંચાયતોમાંથી 4 આમ આદમી પાર્ટી પાસે અને 2 ભાજપ પાસે ગયા છે.
આ પરિણામો સાથે ચૂંટણી પહેલાં કરવામાં આવેલી આગાહી પણ સાચી સાબિત થઈ છે. “સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ભાજપ જ હરાવશે” એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી હતી, જે હવે પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે.
સાંસદ Mansukh Vasavaએ અગાઉ મીડિયાને સંબોધતા કહ્યું હતું કે ભાજપના પોતાના નિયમો જ પાર્ટી માટે ભારે પડી શકે છે. તેમણે ટિકિટ વિતરણ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ટિકિટ ફાળવણી દરમિયાન ભાજપે ઘણા સિનિયર નેતાઓને બહાર રાખ્યા હતા. ખાસ કરીને છેલ્લા ત્રણ ટર્મથી જીતતા ઉમેદવારોને ટિકિટ ન આપવાના નિર્ણયે પાર્ટી માટે નુકસાનકારક સાબિત થયો છે. આ જ કારણસર સાગબારા અને ડેડીયાપાડા જેવા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીત મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બીજી તરફ સુરત શહેરમાં પણ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું છે. પુણા-પૂર્વ વોર્ડ-17માં આમ આદમી પાર્ટીની પેનલ વિજેતા બની છે. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેન્દ્ર ભંડેરીનો વિજય થયો છે.


