(આઝાદ સંદેશ),રાજકોટ: શનિવાર તા.7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસથી તા.17 સુધી 11 દિવસ સૌરાષ્ટ્રમાં આશરે પાંચ હજારથી વધુ સ્થળે ગણેશોત્સવ માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે. ત્યારે આજે રાજકોટ પોલીસ કમિશ્ર્નર બ્રજેશ ઝાએ આ અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. છેલ્લા દિવસોમાં જાહેર થયેલ આ જાહેરનામામાં અગાઉની જેમ મુર્તિની ઉંચાઇ માટે કે પી.ઓ.પી.ની પ્રતિમા અંગે કોઇ ચોખવટ કરાઇ નથી પરંતુ વિસર્જન પુર્વે હાર, ફુલો, વસ્ત્રો, શણગાર વગેરે દુર કરવા તેમજ સીન્થેટીક લાઇનર વાપરવા સહીતના નિયમો મુકવામાં આવ્યા છે.
તા.7ના એટલે કે આવતીકાલે રાત્રીના 12 થી તા.18ની રાત્રીના 12 સુધી અમલમાં રહેનાર આ જાહેરનામા મુજબ (1) ગણેશ વિસર્જનના સરઘસ માટે પુર્વ મંજુરી લેવાની રહેશે. (2) આજીડેમ ઓવરફ્લો પાસે 3, પાળ ગામ પાસે, ન્યારાના પાટીયા પાસે, વાગુદળના પાટીયા પછીના પુલ નીચે કાલાવડ રોડ, આજીડેમ પાસે રવિવારી બજારવાળુ ગ્રાઉન્ડ એમ 7 સ્થળો પૈકીના કોઇ સ્થળે જ વિસર્જન થઇ શકશે. (3) વિસર્જનની જગ્યાએ તળાવો, ખાણ, નદીમાં સિન્થેટીક લાઇનર (કપડુ) ગોઠવવાનું રહેશે અને વિસર્જનના 48 કલાક (બે દિવસ) બાદ બહાર કાઢવાનું રહેશે તથા ફટકડી નાખવાની રહેશે. (4) વિસર્જન યાત્રા દરમિયાન આવતા જતા રાહદારીઓ, લોકો પર રંગ છાટી શકશે નહીં (5) ગણેશોત્સવ સ્થળે ઘ્વનિ પ્રદુષણ નિયંત્રણનું ઘ્યાન રાખવાનું રહેશે અર્થાત ઘોંઘાટ પર પ્રતિબંધ. વોલ્યુમ ધીમુ રાખવાનું. (6) ગણેશ વિસર્જન બાદ એક દિવસ કરતા વધુ સમય મંડપ રાખી શકાશે નહીં. (7) વિસર્જીત થયેલી મૂર્તિને કોઇ પણ ઇસમો દ્વારા બહાર કાઢી શકાશે નહીં (7) ધાર્મિક લાગણી, સદભાવના જળવાય અને જાહેરમાર્ગ પર ટ્રાફિકને અડચણ ન થાય તેનું ઘ્યાન રાખવાનું વગેરે નિયમો જારી કરાયા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જાહેર ગણપતિ ઉત્સવ ઉપરાંત ઘરે ઘરે ગણપતિ સ્થાપના થતી હોય છે. જો કે હવે લોકોમાં જાતે જ માટીમાંથી ગણેશજીની મુર્તિ બનાવી તેનું ઘરમાં જ કુંડામાં વિસર્જન કરીને પર્યાવરણની સુરક્ષા સાથે ગણેશજીની પ્રતિમાની પવિત્રતા જાળવવાનું વલણ વધી રહ્યું છે.