વૃદ્ધાશ્રમના સોશ્યલ મીડિયા પર મુકેલા વીડિયોને પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ તરીકે ચિતરી’તી
(આઝાદ સંદેશ), રાજકોટ: લોધીકાના ઢોલરા ગામે આવેલા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દીકરાનું ઘર વૃદ્ધાશ્રમનું સોશ્યલ મીડિયા પર ફેક આઇડી બનાવી દાન માટે અપીલ કરનાર અજાણ્યા શખસ સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે આઇટી એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રૈયા રોડ પરની જ્ઞાનજીવન સોસાયટી શેરી નં.3માં રહેતા નલીનભાઇ તન્ના (ઉ.56) ઢેબર રોડ પર આવેલી શ્રી નીધી કો-ઓપરેટીવ સોસાયટીમાં જનરલ મેનેેજર તરીકે નોકરી કરે છે. આ ઉપરાંત દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં 27 વર્ષથી ટ્રસ્ટી છે. તેણે પોલીસને જણાવ્યું કે, તેના વૃદ્ધાશ્રમમાં 54 વડીલો આશરો લઇ રહ્યા છે. જેમને રહેવા-જમવાની સગવડ સંસ્થા દ્વારા પુરી પાડવામાં આવે છે. સંસ્થાના સેવાકાર્યોથી લોકો માહિતગાર થાય અને સંસ્થાની માહિતી લોકો સુધી પહોંચે તે માટે સંસ્થાના કર્મચારી જગદીશ ઉર્ફે મોન્ટુ પાલીવાલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લગતા જુદા જુદા વીડિયોે અપલોડ કર્યા હતા. એકાદ માસ પહેલા બીજા કર્મચારી મીહિર ગોંડલીયાએ ફેસબુક જોતા ઘ્યાનમાં આવ્યું કે કોઇ અજાણ્યા શખસે હિન્દીમાં સુભાષ વૃદ્ધાશ્રમના નામે ખોટુ ફેસબુક આઇડી બનાવ્યું છે. જેમાં તેની સંસ્થાના કર્મચારી જગદીશ ઉર્ફે મોન્ટુ પાલીવાલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મુકેલા વીડિયો અપલોડ કર્યા છે એટલું જ નહીં તે વીડિયોમાં એક ક્યુઆર કોડ પણ મુક્યો છે. જેમાં દાન કરવાની અપીલ કરવામાં આવી છે. આ રીતે તેની સંસ્થાના વીડિયોનો દુરપયોગ કરી ગઠીયાઓ દાન ઉઘરાવતા હોવાનું જાણવા મળતા ફેસબુક આઇડી પર ફેક એકાઉન્ટ બનાવનાર અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી છે.