(આઝાદ સંદેશ) : શાસ્ત્રોમાં સુખી અને શ્રેષ્ઠ જીવન જીવવા માટે ઘણા નિયમો અને પરંપરાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નિયમોનું પાલન કરવાથી પુણ્ય ફળની સાથે ધન-ધાન્યની પણ પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્ય આડે નડતર એવી બાધાઓમાંથી મુક્તિ મળે છે.
વિષ્ણુરેકાદશી ગીતા તુલસી વિપ્રધેનવ:
અસારે દુર્ગ સંસારે ષટ્પદી મુક્તિદાયિની
આ શ્ર્લોકમાં એ વાતનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેનું ધ્યાન રાખવાથી સમસ્ત સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ કાર્યો એવા છે જે દુર્ભાગ્યને પણ સૌભાગ્યમાં બદલી દે છે.
ભગવાન વિષ્ણુનું પૂજન : જગત પાલક ભગવાન વિષ્ણુને ઐશ્ર્વર્ય, સુખ, શાંતિના સ્વામી માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના કોઈપણ અવતારનું પૂજન કરવાથી ધર્મ, અર્થ, કામ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
ગાયની સેવા : ગાયમાં તમામ દેવી-દેવતાઓનો વાસ હોય છે, એટલા માટે જ ગાયની સેવા કરનાર વ્યક્તિ પર તેમની કૃપાદ્રષ્ટિ સદા ટકી રહે છે. આધુનિક સમયમાં ઘરે ગાય રાખવી શક્ય ન હોય તે સ્વાભાવિક છે, પરંતુ સમયાંતરે ગૌશાળા જઈ ગાય માટે શ્રદ્ધાનુસાર દાન અવશ્ય કરી દેવું જોઈએ.
એકાદશીનું વ્રત : એકાદશીનું વ્રત પણ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. પંચાગાનુસાર દર મહિનામાં બે એકાદશી આવે છે, એક સુદ અને એક વદમાં. આ બંન્નેનું વ્રત કરવાનું હોય છે. જે ઘરમાં લોકો શ્રદ્ધાથી આ વ્રત કરે છે તેના ઘરમાં સુખ-શાંતિનો હંમેશા વાસ રહે છે.
શ્રીમદ ભગવત ગીતાનું પઠન : ગીતાજીના શ્લોકનું પઠન પણ પુણ્યફળ આપે છે. નિયમિત રીતે જે ગીતાના શ્લોકનું પઠન કરે છે તેના પર ભગવાનની કૃપા હંમેશા રહે છે. શ્રીમદ ભગવત ગીતામાં લખેલા નિયમોનું પાલન પણ અવશ્ય કરવું જોઈએ.
તુલસીની પૂજા : ઘરમાં તુલસીનો છોડ અવશ્ય રાખવો. તુલસીની સુગંધથી પણ વાતાવરણ શુદ્ધ રહે છે. તુલસીનો છોડ રાખવાની સાથે નિયમિત રીતે તેની પૂજા પણ કરવી જોઈએ. તેનાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે.