મૃતકની ઓળખ મેળવવા વાલીવારસની શોધખોળ
રાજકોટ : રાજકોટ શહેરની ભાગોળે કુવાડવા હાઇવે પરથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી મૃતક ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં અકસ્માતમાં યુવાનનુ મોત નીપજ્યાની શંકા સેવાઇ રહી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક અમૃત હોટલ સામે ઇજાગ્રસ્ત હાલતમાં અજાણયો યુવાન (ઉ.વ. આશેર ૨૮) પડેલો હોય બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ પી.બી.પટેલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ૧૦૮ના સ્ટાફ દ્વારા યુવાનને જોઇ તપાસી મરણ ગયાનુ જાહેર કરવામાં આવ્યુ હતું. કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનનુ કોઇ વાહનની ઠોકરે ચડી જતા અકસ્માતમાં મોત નીપજ્યાનુ અનુમાન સેવાઇ રહ્યું છે. મૃતકના ખીસ્સામાંથી ઓળખ મળે તેવા કોઇ પુરાવા મળી આવ્યા ન હોય જેથી પોલીસે મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. જો કોઇ વાલી વારસ હોય તો કુવાડવા રોડ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયુ છે.


