પત્ની માવતરે રાખડી બાંધવા ગયા બાદ રમેશભાઈ અમરેલીયા (ઉ.વ.40)એ સ્યુસાઇડ નોટ લખી પગલું ભરી લીધુ
રાજકોટ : રાજકોટના રૈયા ગામમાં રહેતા અને સિટીબસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા યુવાને પત્ની માવતરે રાખડી બાંધવા ગયા બાદ કેન્સરની બીમારીથી કંટાળી સ્યુસાઇડ નોટ લખી ઝેરી ટીકડા ખાઇ જીવન ટૂંકાવી લીધુ હતું. યુવાનના મોતથી બે બાળકોએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
મળતી વિગત મુજબ રૈયા ગામમાં રહેતા રમેશભાઇ કાંતીભાઇ અમરેલીયા નામનો 40 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ઝેરી ટીકડા ખાઇ લીધા હતા. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યા યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક રમેશ અમરેલીયા ત્રણ ભાઇ એક બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રમેશભાઇ અમરેલીયા સિટીબસમાં કંડકટર તરીકે ફરજ બજાવતો હતો. પત્નીની નયનાબેન જૂનાગઢ માવતરે રક્ષાબંધન કરવા ગયા બાદ રમેશભાઇ અમરેલીયાએ કેન્સરની બીમારીથી કંટાળી આત્મઘાતી પગલુ ભરી લીધુ હતું. મૃતક યુવાન પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં હું આ પગલુ એટલા માટે ભરુ છુ કે મને મોઢાનું કેન્સર છે હું તડપીને મરવા નથી માંગતો જેથી આ પગલુ ભરુ છે મને માફ કરજો તેવા લખાણવાળી સ્યુસાઇડ મળી આવી હતી. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


