રાજકોટ : રાજકોટ શહેરની ભાગોળે આજીડેમ ચોકડી પાસે ભારતનગર મેઇન રોડ પર રહેતા વિનતાબેન રાહુલભાઈ સોલંકી (ઉ.વ. ૨૩) નામના પરિણીતાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ ડ્રાઇવિંગ કામ કરે છે અને તેમને સંતાનમાં દોઢ વર્ષની પુત્રી છે. ગઈ તા. ૨૮-૬ ના પરિણીતાના દિયર કરણભાઈ ઘરે આવ્યા હોય જેથી પરિવારજનો રાત્રીના ત્રણેક વાગ્યા સુધી વાતચીત કરતા હતા અને બાદમાં ઊંઘી ગયા હતા. મકાનનો દરવાજો ખુલ્લો હતો. દરમિયાન સવારના ૫:૩૦ વાગ્યે પરિણીતાની ઊંઘ ઊડતા ઘરમાં મોબાઇલ ફોન રાખ્યો હોય તે જોવા મળ્યો ન હતો. જેથી પતિને જગાવી વાત કરી હતી અને ઘરમાં ચોરી થય ની શંકા જતા ઘરમાં તપાસ કરતા તેના પતિ અને દિયરનો પણ ફોન જોવા મળ્યો ન હતો. બાદમાં ઘરમાં સામાન ચેક કરતા કબાટમાં પૈસા મૂક્યા હતા જેમાં કબાટમાંથી રૂપિયા ૪૨ હજાર રોકડ જોવા મળી ન હતી તથા સોનાની બુટી પડી હતી તે પણ ચોરી થઈ ગયાનુ માલુમ પડ્યું હતું.
બાદમાં પરિવારને તેમના મૂળ વતન સિહોરના મઢડા ગામ જવાનું થતા તેઓ અહીંથી ચાલ્યા ગયા હતા અને ત્યાંથી ઘરે પરત ફર્યા બાદ ઘરમાંથી ત્રણ મોબાઇલ ફોન, રોકડ રૂ.૪૨૦૦૦ અને સોનાની બુટ્ટી કિંમત રૂપિયા ૪૫,૦૦૦ સહિત રૂ.૧.૩૦ લાખની ચોરી થયા અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.


