રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં બનેલી કરોડોની ધાડની ઘટનાને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયે ઘટનાસ્થળની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને તપાસની કામગીરી અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.
પ્રાથમિક માહિતી મુજબ રાત્રિના સમયે બનેલી આ ધાડની ઘટનામાં અજાણ્યા શખ્સોએ વૃદ્ધને બંધક બનાવી મોટી રકમ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તપાસમાં કોઈ કડી છૂટી ન જાય તે માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL), ડોગ સ્ક્વોડ તેમજ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે.
ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાંથી ભૌતિક તેમજ ટેકનિકલ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત આરોપીઓની હિલચાલ અને તેમની ઓળખ મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની સઘન તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી અલગ-અલગ દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું કે ઘટનાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીઓ સુધી પહોંચવા માટે ઉપલબ્ધ તમામ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વહેલામાં વહેલી તકે આરોપીઓને ઝડપી પાડીને સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવામાં આવશે તે માટે પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે ત્યારે પોલીસ તંત્ર માટે પણ આ કેસ મહત્વપૂર્ણ બની ગયો છે. હાલ તપાસનો ધમધમાટ ચાલુ છે અને ટૂંક સમયમાં મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


