રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ડીઝલની અછત હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા બાદ હવે ડીઝલ મેળવવા માટે ટ્રાન્સપોર્ટરોને લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે જોડાયેલા હસુભાઈ ભગદેવે હાલની પરિસ્થિતિને “લોકડાઉન જેવી સ્થિતિ” ગણાવી ચિંતા વ્યક્ત કરી છે.
હસુભાઈ ભગદેવે જણાવ્યું હતું કે અનેક પેટ્રોલ પંપ પર માત્ર ૫ હજાર રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે, જે લાંબા રૂટ પર જતા કોમર્શિયલ વાહનો માટે પૂરતું નથી. “જ્યાં ડીઝલ મળે છે ત્યાં મર્યાદિત જ આપવામાં આવે છે. સરકારને ડર છે કે વધારે ડીઝલ આપવામાં આવશે તો પંપ ડ્રાય થઈ જશે,” એમ તેમણે કહ્યું.
તેમણે વધુમાં જણાવ્યું કે હાલ રાજકોટ જિલ્લામાં અંદાજે ૫ હજાર જેટલા કોમર્શિયલ વાહનો કામગીરી કરે છે, પરંતુ ડીઝલના અભાવે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ લગભગ ઠપ્પ જેવી સ્થિતિમાં આવી ગયો છે. ડ્રાઈવરો લાંબા રૂટ પર જવા તૈયાર નથી અને વાહનો ડીઝલ માટેની લાઈનમાં જ ઊભા રહેતા હોવાથી ઓપરેશનલ ખર્ચ વધી રહ્યો છે.
રાજકોટ સહિત કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ડીઝલની અછતને કારણે કૃષિ અને ટ્રાન્સપોર્ટ બંને ક્ષેત્ર પર મોટી અસર પડી રહી છે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે જો જલદી સ્થિતિ સામાન્ય નહીં બને તો માલસામાનની હેરફેર અને સપ્લાય ચેઇન પર વધુ ગંભીર અસર જોવા મળી શકે છે.


