ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને તેની જમીન પર ઘેરી લીધું હતું. જયશંકર એસસીઓ સમિટમાં ભાગ લેવા ઇસ્લામાબાદની મુલાકાતે છે. પોતાના ભાષણમાં તેમણે ચીન-પાકિસ્તાનના એકતરફી એજન્ડા પર આકરા પ્રહારો કર્યા છે, આતંકવાદ અને ક્ષેત્રીય સંપ્રભુતાનો મુદ્દો ઉઠાવ્યો છે.
જયશંકરે કહ્યું કે જો પરસ્પર વિશ્વાસનો અભાવ છે કે પૂરતો સહયોગ નથી, જો મિત્રતામાં ઘટાડો થયો છે અને સારા પાડોશીનો અભાવ છે, તો તેની પાછળના કારણોનું વિશ્લેષણ કરવું જોઈએ. જયશંકરે પાકિસ્તાનને સંદેશ આપ્યો કે આપણે ઈમાનદાર વાતચીત કરવાની જરૂર છે. તેમણે પાકિસ્તાન-ચીન સીપીઇસી પ્રોજેક્ટને કારણે ભારતીય સાર્વભૌમત્વના ઉલ્લંઘનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
તેમણે સંબોધનની શરૂઆતમાં કહ્યું હતું કે, ‘એસસીઓના ચાર્ટરની કલમ 1 એ અમારા ઉદ્દેશો અને ફરજો સ્પષ્ટ કરી દીધી છે. તેનો હેતુ પારસ્પરિક મિત્રતા, વિશ્વાસ અને સારા પાડોશીપણા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને પ્રાદેશિક સ્તરે પરસ્પર સહકાર વધારવાનો છે. તેમાંથી 3 મોટા પડકારો આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ છે, જેનો સામનો કરવા માટે એસસીઓ પ્રતિબદ્ધ છે. પરંતુ હાલના સંજોગો પર નજર કરીએ તો આ પડકારો સામે લડવું વધુ મહત્વનું બની ગયું છે.
પાકિસ્તાન-ચીને કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો
એસસીઓ સમિટ પહેલા મંગળવારે પાકિસ્તાન અને ચીનના વડાપ્રધાનોની બેઠક મળી હતી, આ દરમિયાન ચીને કાશ્મીર મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની વાત કરી હતી. શેહબાઝ શરીફ અને લી કેકિયાંગની બેઠક બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં પણ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ચીનના વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર દ્વારા તેનો ઉકેલ લાવવાની વાત કરી હતી, જ્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ ચીનના સમર્થનની પ્રશંસા કરી હતી.