રાજકોટ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું ‘મહેબૂબ-એ-બુખારી’ નામનું માલવાહક જહાજ ઓમાનના દરિયાના પ્રચંડ મોજા અને ખરાબ હવામાનના કારણે દરિયામાં ડૂબ્યું છે. જહાજ પર સવાર કુલ 14 ભારતીય ખલાસીઓમાંથી 12 ખલાસીઓને ઓમાનના સર્ચ એન્ડ રેસ્ક્યૂ દળે બચાવી લીધા છે. આ દુર્ઘટનામાં કમનસીબે 2 ખલાસીઓના કરુણ મોત નીપજ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સલાયાનું જહાજ ગત 3 જુલાઈએ દુબઈ બંદરથી વિવિધ માલસામાન ભરીને દરિયાઈ માર્ગે રવાના થયું હતું. જેમાં ઓમાન નજીકના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક દરિયામાં ભારે કરંટ અને ખરાબ હવામાન સર્જાયું હતું. કુદરતી આફત વચ્ચે જહાજના બંને મુખ્ય એન્જિનો એકાએક બંધ પડી ગયા હતા. એન્જિન બંધ થતાં જહાજમાં પાણી ભરાયું ગયું હતું અને જોતજોતામાં કરોડોની કિંમતનું માલવાહક જહાજ દરિયામાં ડૂબવા લાગ્યું હતું.
જહાજ ડૂબવાની ઘટના અંગે ખલાસીઓ દ્વારા તાત્કાલિક ઈમરજન્સી સિગ્નલ મોકલવામાં આવ્યા હતા. આ મેસેજ મળતા જ ઓમાનનું સત્તાવાર ‘સર્ચ એન્ડ રેસ્ક્યુ દળ’ અને ઓમાની નેવી દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ બચાવ કામગીરીમાં જહાજ પર સવાર 14 ખલાસીઓમાંથી 12 ભારતીય ખલાસીઓને સહીસલામત બહાર કાઢી લીધા હતા અને તેમને સારવાર તેમજ આશ્રય માટે ઓમાન કિનારે પહોંચાડ્યા છે.


