બેદરકાર સિટી બસ ચાલક સામે માલવિયાનગર પોલીસે ગુનો નોંધી કાયદેસરની ધોરણસરની તપાસ હાથ ધરી
રાજકોટ : રાજકોટના મવડી મેઇન રોડ પર વિશ્વેશ્વર મંદિર સામે એક ગંભીર અને કરૂણ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સિટી બસની અડફેટે આવતા ૨૨ વર્ષીય બાઇકચાલક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને માલવિયાનગર પોલીસે સિટી બસના ચાલક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના અને રાજકોટના શ્રીનાથજી સોસાયટી શેરી નં. ૧ માં ભાડાના મકાનમાં રહી પેઇન્ટર તરીકે કામ કરતા પ્રમોદ ગૌતમ તેમના બે ભાણેજ આઝાદ ગૌતમ અને અમરેશ સાથે રહે છે. ત્રણેય યુવકોએ કામ-ધંધે જવા-આવવા માટે પંદર દિવસ પહેલાં જ પોતાના પરિચિત રાજુ ભરવાડ પાસેથી બાઇક ખરીદ્યું હતું. રવિવારે પ્રમોદ ગૌતમ સૂતા હતા ત્યારે તેમનો ૨૨ વર્ષીય ભાણેજ આઝાદ ગૌતમ કોઇને પણ કહ્યા વગર મામાનું બાઇક લઇને બહાર ચક્કર મારવા માટે નીકળ્યો હતો.
આ દરમિયાન મવડી મેઇન રોડ પર વિશ્વેશ્વર મંદિર સામેથી પસાર થતી વખતે પુરપાટ ઝડપે આવતી સિટી બસે બાઇકને જોરદાર અડફેટે લીધું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે આઝાદ ગૌતમ બાઇક પરથી ફેંકાઇ જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બનતાની સાથે જ ચાલકે બસ રોકી દીધી હતી અને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. બસના લેડી કંડક્ટર સોનલબેન ઇજાગ્રસ્ત અને બેભાન હાલતમાં રહેલા આઝાદને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન ટૂંકી સારવાર બાદ આઝાદનું કરૂણ મોત નિપજ્યું હતું. માલવિયાનગર પોલીસે સિટી બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


