વડાપ્રધાનની દિમાગી નક્સલવાડની ટિપ્પણી બાદ રાતોરાત દિમાગી નક્સલ પાર્ટીનું એકાઉન્ટ બની ગયું
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાન ભાષણમાં દેશમાં દિમાગી નક્સલથી સાવધાન રહેવાની ટકોર કર્યાના કલાકોમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર કોકરોચ જનતા પાર્ટીની તર્જ પર હવે દિમાગી નક્સલ પાર્ટી નામનું એક નવું એકાઉન્ટ રાતોરાત ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે. આ એકાઉન્ટે માત્ર ૨૪ કલાકના ટૂંકા ગાળામાં જ ૧.૭ લાખથી વધુ ફોલોઅર્સ મેળવીને સૌને ચોંકાવી દીધા છે.
ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ એકાઉન્ટ ચાલુ મહિને જ બનાવવામાં આવ્યું છે. લોગ ડેટા પરથી જાણવા મળે છે કે આ એકાઉન્ટનું યુઝરનેમ એકવાર બદલવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આ પેજ પરથી ૬૩ જેટલી પોસ્ટ કરવામાં આવી છે અને તે અંદાજે ૩૫ લોકોને ફોલો કરે છે. જોકે, આ વાયરલ એકાઉન્ટ પાછળ કોનું ભેજું છે અને તેનું સંચાલન કોણ કરી રહ્યું છે, તે અંગે કોઈ જ માહિતી શેર કરવામાં આવી નથી.
નોંધનીય છે કે, આ એકાઉન્ટ એવા સમયે વાયરલ થયું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં દિમાગી નક્સલોનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ દેશવાસીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે જંગલમાં હથિયાર ઉઠાવનારા નક્સલીઓ ભલે ખતમ થઈ ગયા હોય, પરંતુ દિમાગી નક્સલો હજુ પણ સક્રિય છે જેઓ દેશને ખોટા માર્ગે દોરવા અને હિંસા ફેલાવવાની તક શોધી રહ્યા છે. પીએમના આ નિવેદન બાદ ઈન્સ્ટાગ્રામ પર આ નામના અનેક એકાઉન્ટ્સ જોવા મળી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ એક પોસ્ટ દ્વારા આ શબ્દનો અર્થ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, ‘દિમાગી નક્સલ’ શબ્દ ખાસ કરીને એવા લોકો માટે વાપરવામાં આવ્યો છે જેઓ માઓવાદીઓનું સમર્થન કરે છે અને ભારતીય બંધારણનું સન્માન નથી કરતા. આ એવા તત્વો છે જેઓ અલગતાવાદીઓનો સાથ આપે છે, જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ની વાપસીનું સમર્થન કરે છે અને ભારતના પૂર્વોત્તર હિસ્સાને દેશથી અલગ કરવા ‘ચિકન્સ નેક’ કાપવાના ષડયંત્રો રચે છે.


