(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં મોરબી રોડ ઉપર બેડીમાં રહેતા મહાનગરપાલિકાના કર્મચારીએ ચામડી સહિતની બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, મોરબી રોડ પર આવેલા બેડી ગામે રામાપીર મંદિર પાસે રહેતાં અને ભાવનગર રોડ પર આરએમસીની ઓફિસમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતાં અનિલભાઇ હરિભાઇ મેરીયા (ઉ.વ.52)એ સાંજે ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
અનિલભાઇએ ઘરે આ પગલુ ભરી લેતાં 108ના ઇએમટી બળદેવભાઇ ચોૈહાણે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના એએસઆઇ મોહિતભાઇ કુંભારવાડીયાએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર અનિલભાઇ ભાવનગર રોડ પરની આરએમસીની ઝોનલ કચેરીમાં પ્યુન તરીકે નોકરી કરતાં હતાં. તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે જે ત્રણેય પરિણીત છે. અનિલભાઇને એકાદ મહિનાથી ચામડીમાં ચાંદા પડવા સહિતની બિમારી લાગુ પડતાં નોકરી પર જતાં નહોતાં. આ બિમારીની સારવાર કરાવવા છતાં ફરક ન પડતાં કંટાળીને આ પગલુ ભરી લીધુ હતું.
બેડી ગામે ચામડી સહિતની બિમારીથી કંટાળી ગયેલા આરએમસી કર્મચારીનો ગળાફાંસો ખાઇ આપઘાત
