એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ કિશોર ઘુઘલ અને અમીત ટૂંડિયાની બાતમીના આધારે દરોડો
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટની આજીડેમ ચોકડી પાસેથી દેશી તમંચો અને 4 જીવતા કાર્ટીસ સાથે એસઓજીએ મનહરપરાના શખ્સને ઝડપી પાડી પૂછપરછ કરતાં તેને માથાકૂટોમાં સામા ભડાકા કરવાં બે વર્ષથી રાજકોટના શખ્સ પાસેથી તમંચો ખરીદ કર્યાની કબુલાત આપી હતી. મળતી માહિતી મુજબ, એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એસ.બી.ઘાસુરા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના કોન્સ્ટેબલ કિશોર ઘુઘલ અને અમીત ટૂંડિયાને અગાઉ દારુના અને ચોરીના કેસમાં પકડાયેલ અસલમશાહ ઉર્ફે અસલો આમીરશાહ શાહમદાર નામનો શખ્સ ભાવનગર રોડ પર અમુલ સર્કલથી આજીડેમ ચોકડી તરફ જતા ભારતનગર તરફ જવાના રોડ ઉપર આવેલ આઈ.ટી.આઈ. છાત્રાલયના પાછળના ભાગે જાહેર રોડ પર ઉભેલ છે અને તેના કબ્જામાં ગેરકાયદેસર હથીયાર હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે બાતમીના સ્થળે દરોડો પાડી શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સનું નામ પુછતા પોતાનુ નામ અસલમશાહ ઉર્ફે અસલી આમીરશાહ શાહમદાર (ઉ.વ.37), (રહે.મનહરપરા શેરી નં.01, બેડીપરા ફાયરબ્રીગેડ પાછળ, ભાવનગર રોડ) હોવાનું જણાવેલ હતું.એસઓજીની ટીમે શખ્સની તલાશી લેતાં તેણે પહેરેલ પેન્ટના નેફામાંથી એક દેશી બનાવટનો તમંચો અને ખિસ્સામાંથી 4 જીવતા કાર્ટીસ મળી આવતાં આરોપીની ધરપકડ કરી દેશી બનાવટનો તમંચો અને 4 જીવતા કાર્ટીસ કબ્જે લઈ સઘન પૂછતાછ આદરી હતી.વધુમાં જાણવા મળ્યા મુજબ, તમંચા સાથે પકડાયેલ શખ્શે રાજકોટના કોઈ શખ્સ પાસેથી બે વર્ષ પહેલાં ખરીદ કરી હતી અને અગાઉથી ચાલી આવતી અદાવતમાં સામે ભડાકા કરવાં પોતાની સાથે જીવતા કાર્ટીસ સાથે તમંચો રાખ્યો હોવાની પણ કબુલાત આપી હતી. ઉપરાંત આરોપી અગાઉ અનેક દારૂ અને ચોરીના ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું પણ ખુલ્યું હતું.