લદ્દાખ, 26 જુલાઈ : કારગિલ વિજય દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે લદ્દાખના દ્રાસ પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ કારગિલ યુદ્ધ સ્મારક પર દેશના બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે આપેલા બલિદાન અમર છે. આ સાથે પીએમ મોદીએ ભારતના દુશ્મનો અને આતંકવાદીઓને સીધી ચેતવણી પણ આપી છે. પીએમ મોદીએ કહ્યું છે કે ભારત કોઈપણ ઉદ્ધતાઈનો જડબાતોડ જવાબ આપશે.
કારગિલ વિજય દિવસ પર PM નરેન્દ્ર મોદીએ લદ્દાખમાં પાકિસ્તાનને ચેતવણી આપી છે. પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાને ભૂતકાળમાં જે પણ પ્રયાસો કર્યા તેને હારનો સામનો કરવો પડ્યો પરંતુ પાકિસ્તાને તેના ઈતિહાસમાંથી કંઈ શીખ્યું નથી. તે આતંકવાદનો સહારો લઈને પોતાને પ્રાસંગિક રાખવાનું પ્રયાસ કરી રહ્યું છે.
મંચ પરથી ચેતવણી આપતા પીએમ મોદીએ કહ્યું કે આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં આતંકના આકાઓ મારો અવાજ સીધો સાંભળી શકે છે. હું આતંકવાદના આ સમર્થકોને કહેવા માંગુ છું કે તેમના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં થાય. આપણા બહાદુર જવાનો આતંકવાદને પૂરી તાકાતથી કચડી નાખશે. દુશ્મનને જડબાતોડ જવાબ આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ વિજય દિવસ પર પાકિસ્તાનના અવિશ્વાસુ ચહેરાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે તે સમયે ભારત શાંતિ માટે પ્રયાસ કરી રહ્યું હતું. બદલામાં પાકિસ્તાને ફરી એકવાર પોતાનો અવિશ્વાસભર્યો ચહેરો બતાવ્યો. પરંતુ સત્ય સામે અસત્ય અને આતંકનો પરાજય થયો. પીએમ મોદીએ કહ્યું કે આપડે માત્ર કારગીલમાં યુદ્ધ જીત્યા નથી. આપડે સત્ય, સંયમ અને શક્તિનું અદ્ભુત પ્રદર્શન કર્યું હતું.