મેયરે ત્રણેય ઝોનના ડે. કમિશનરો, સિટી ઇજનેરો, ટાઉનપ્લાનરોની સાથે બેઠક યોજી: ઇસ્ટઝોનમાં સૌથી વધુ દબાણો હોવાની ફરિયાદનું તુરંત નિરાકરણ કરો
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ શહેરમાં ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે ત્યારે બીજી તરફ ધારાસભ્યો, કોર્પોરેટરો, અને સામાન્ય નાગરિકો દ્વારા આવા દબાણો દુર કરવા અધિકારીઓને લેખિત અને મૌખિક રજુઆતો કરવામાં આવતી હોવાછતાં પણ કોઇ પગલાં લેવાતા નથી ત્યારે આજે મેયર નયનાબેન પેઢડિયોએ પાંચેય પદાધિકારીઓને સાથે રાખીને ત્રણેય ઝોનના ડે. કમિશનરો, સિટી ઇજનેરો ટાઉનપ્લાનરોની સંકલન બેઠક યોજી હતી અને ગેરકાયદે દબાણોની ફરિયાદોનો કેમ નિકાલ કરાતો નથી? તે મુદ્દે ખુલાસો પુછ્યો હતો.
શહેરના ત્રણેય ઝોન હેઠળના 18 વોર્ડમાં ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે. ભૂમાફિયાઓ માટે રાજકોટ હબ બની ગયું છે. ધારાસભ્યો, કેટલાંક કોર્પોરેટરો અને નાગરિકો દ્વારા સંબંધિત અધિકારીઓને લેખિત રજુઆતો અને ફરિયાદો કરવામાં આવતી હોવાછતાં મહાનગરપાલિકાના અધિકારીઓની ખોરી નીતિના કારણે દબાણો દુર કરવામાં આવતા નથી. આ મુદ્દે આજે મેયર નયનાબેન પેઢડિયાએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ ત્રણેય ઝોનના ડે.કમિશનરો,સિટી ઇજનેરો અને ટાઉનપ્લાનરોની સંકલન બેઠક યોજીને અધિકારીઓનો આ મુદ્દે ખુલાસો પુછીને તુરંત જ ફરિયાદોનો નિકાલ કરવા આદેશ આપ્યો હતો. ખાસ કરીને ઇસ્ટઝોન હેઠળના વિસ્તારોમાં દબાણોનું પ્રમાણ વધુ છે. ઇસ્ટઝોન હસ્તકના ટીપીના અનેક પ્લોટમાં અને રસ્તાઓ માટે રખાયેલી જગ્યામાં પણ ગેરકાયદે બાંધકામો ખડકાઇ ગયા છે. આવા દબાણો દુર કરવા અને રસ્તાઓ ખુલ્લા કરવા માટે ઝોનના સિટી ઇજનેરને આદેશ અપાયો હતો. ઇસ્ટઝોન હેઠળના મોરબી રોડ, સંતકબીર રોડ સહિતના વિસ્તારોમાં દબાણોનું પ્રમાણ વધુ છે.
ત્યારે જે જે સ્થળોએ નોટિસ અપાઇ છે અને પછી કોઇ કાર્યવાહી કરવમાં આવી નથી તેવા સ્થળોએથી તુરંત જ દબાણ હટાવવા માટે ઝોનના ડે. કમિશનર અને સિટી ઇજનેરને જણાવાયું હતું.મોરબી રોડ સંતકબીર રોડ સહિતના અલગ અલગ ચાર વિસ્તારોમાં મોટાપાયે દબાણ ખડકી દેવાયા છે. આ સામે તુરંત કાર્યવાહી કરવા પણ મેયરે જણાવ્યું હતું.