કર્મચારીઓના વ્યક્તિગત અને પારિવારિક કારણોસર બદલીનો આદેશ જાહેર કરતા ડીજીપી મલિક
(આઝાદ સંદેશ),રાજકોટ: ગુજરાત પોલીસ વિભાગમાં લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા પોલીસ કર્મચારીઓ માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય* પોલીસ અધિકારીની મંજૂરી બાદ રાજ્યના વિવિધ પોલીસ એકમોમાં ફરજ બજાવતા કુલ ૪૧૪ પોલીસ કર્મચારીઓની આંતરજિલ્લા બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. આ બદલી પ્રક્રિયામાં ખાસ કરીને કર્મચારીઓની વ્યકિતગત અને કૌટુંબિક પરિસ્થિસ્થત, તેમજ પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય તેવા કિસ્સાઓની રજૂઆતોને વિશેષ પ્રાધાન્ય આપીને નિર્ણય લેવાયો છે.
રાજ્યના અલગ અલગ શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા ૪૧૪ પોલીસ કર્મચારીઓની બદલીનો આદેશ ડીજીપી જી એસ મલિક દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર-ગ્રામ્યના ૧૫ સહીત રાજ્યના ૨૨૬ અનાર્મ્ડ કોન્સ્ટેબલ અને એલઆરડી જવાન, ૧૨૯ આર્મડ કોન્સ્ટેબલ અને એલઆરડી જવાન અને ૫૯ આર્મડ હેડ કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે.
પોલીસ વિભાગ દ્વારા તમામ બદલી પામેલા પોલીસ કર્મચારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે, જે મુજબ, બદલી પામેલા તમામ પોલીસ કર્મચારીઓને નવી જગ્યાએ હાજર થવાનું રહેશે. નવી જગ્યાએ ચાર્જ લીધા બાદ તુરંત જ જૂની જગ્યાએ પરત બદલી માટે રજૂઆત કરી શકાશે નહીં. જે કર્મચારીઓ સામે વિભાગીય તપાસ કે ગંભીર ગુનાઓની તપાસ ચાલુ હોય, તો તેમના માટે આદેશમાં વિશેષ શરતો લાગુ રહેશે.
આ આદેશાનુસાર, સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરો અને ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ સહિતના મોટા ભાગના જિલ્લાઓમાં ફેરબદલ કરવામાં આવી છે, તો કેટલાક પોલીસ કર્મચારીઓને ગ્રામ્ય વિસ્તારમાથી શહેરમાં અને કેટલાક કર્મચારીઓને અન્ય જિલ્લાઓમાં નવી ફરજ સોંપવામાં આવી છે.


