ભાનુબેન પંસારા (ઉ.વ.45)ને સર્જરી બાદ ઘરે લઈ જતા તબિયત બગડી : ફરી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત્યુ થયું : ઓપરેશન કરનાર તબીબ ભાગી ગયાનો પરિજનોનો આરોપ : મૃતદેહ ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો
રાજકોટ : મોરબીના ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતા ૪૫ વર્ષીય ભાનુબેન દિલીપભાઈ પંસારા નામના મહિલાનું મગજની ગાંઠ (બ્રેઇન ટ્યુમર)ની બીમારીના ઓપરેશન બાદ કરૂણ મોત નિપજ્યું છે. મળતી વિગતો અનુસાર, ભાનુબેનને બીમારીના કારણે મોરબી સ્થિત આયુષ હોસ્પિટલમાં મગજની ગાંઠનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ અચાનક તેમની તબિયત વધુ લથડી હતી. પરિસ્થિતિ ગંભીર બનતાં પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક પ્રથમ મોરબીની સ્થાનિક હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મહિલાએ દમ તોડ્યો હતો.
મૃતકના પરિવારજનોએ તબીબી બેદરકારીનો ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, આયુષ હોસ્પિટલમાં ઓપરેશન કર્યા બાદ જવાબદાર ડોક્ટર ત્યાંથી ભાગી ગયા હતા. ઓપરેશન બાદ યોગ્ય કાળજી અને સારવાર ન મળવાને કારણે જ દર્દીની સ્થિતિ વણસી હતી અને તેમનું મોત નીપજ્યું હતું. ડોક્ટરની ઘોર બેદરકારીના કારણે મહિલાએ જીવ ગુમાવ્યો હોવાનો પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે.
આ કરૂણ ઘટનાથી શ્રમજીવી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મૃતક ભાનુબેનના પતિ શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ભાનુબેનના અકાળે અવસાનથી તેમના સંતાનોમાં રહેલા બે દીકરાઓ અને ત્રણ દીકરીઓએ પોતાની માતાની હૂંફ અને છત્રછાયા ગુમાવી દીધી છે. સમગ્ર ઘટનાને પગલે પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને તબીબી બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.


