ઈરાને આજે ફરી એકવાર યુએઈ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો છે. ઈરાનના હુમલાને કારણે યુએઈની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ સક્રિય કરી દેવાઈ છે. ઈરાન અને યુએઈ વચ્ચે વધતા તણાવ વચ્ચે, યુએઈએ ઈરાન દ્વારા કરાયેલા હુમલાઓમાં થયેલા નુકસાનનું દસ્તાવેજીકરણ કરવા માટે એક ખાસ સમિતિની સ્થાપના કરી છે. યુએઈનો દાવો છે, કે, સંઘર્ષ દરમિયાન, ઈરાને 2,000 થી વધુ ડ્રોન અને સેંકડો મિસાઈલો છોડ્યા હતા.
ઈરાને આજે ફરી એકવાર યુએઈ પર મોટો હુમલો કર્યો છે. અહેવાલો અનુસાર, ઈરાને અનેક બેલિસ્ટિક મિસાઈલો, ક્રુઝ મિસાઈલો અને ડ્રોનનો મારો ચલાવ્યો છે. ઈરાને કરેલા હુમલાથી યુએઈના હવાઈ સંરક્ષણ પ્રક્રિયા સક્રિય કરી દેવાઈ છે. જે ઈરાન તરફથી છોડવામાં આવેલ મિસાઈલોને સતત અટકાવી રહ્યી છે. યુએઈના નેશનલ ઈમરજન્સી ક્રાઈસિસ એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીએ, લોકોને સલામત સ્થળોએ રહેવા અને ફક્ત સત્તાવાર સરકારી અપડેટ્સ પર જ આધાર રાખવાની અપીલ કરી છે. આ હુમલો યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે મિસાઈલ હુમલા થયાના એક રાત પછી થયો છે.
આ પહેલા, સોમવારે, ઈરાને પણ 15 મિસાઈલો અને 4 ડ્રોનનો ઉપયોગ કરીને યુએઈ પર હુમલો કર્યો હતો. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વિશ્વ નેતાઓએ યુએઈ પરના હુમલાઓની નિંદા કરી હતી. 8 એપ્રિલે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ સ્થાપિત થયો હતો. 30 દિવસની પ્રમાણમાં શાંતિ પછી, મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ વધી રહ્યો હોય તેવું લાગે છે.
યુએઈએ ઈરાનના હુમલાઓથી થયેલા નુકસાનનો વ્યાપક રેકોર્ડ તૈયાર કરવા માટે એક નવી સમિતિની રચના કરી છે. સમિતિનો કાર્યભાર આ હુમલાઓના પરિણામે થયેલા જાનમાલના નુકસાન અંગે પુરાવા એકત્રિત કરવાનો છે. ત્યારબાદ, આ પુરાવાના આધારે, યુએઈ કાનૂની કાર્યવાહી કરવા અને ન્યાય મેળવવાનો ઇરાદો ધરાવે છે.
સત્તાવાર સમાચાર એજન્સી, WAM અનુસાર, આ સમિતિનું નેતૃત્વ યુએઈના એટર્ની જનરલ કરશે. તેમાં વિવિધ મંત્રાલયો અને સરકારી એજન્સીઓના અધિકારીઓનો સમાવેશ થશે. જો જરૂરી લાગે તો વિદેશી નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવશે. સમિતિ ફોટોગ્રાફ્સ, ટેકનિકલ રિપોર્ટ્સ અને અન્ય પ્રકારના પુરાવા એકત્રિત કરશે.
2,000 થી વધુ ડ્રોન ફાયરિંગનો દાવો
યુએઈના મતે, સંઘર્ષ દરમિયાન, ઈરાને 2,000 થી વધુ ડ્રોન, સેંકડો બેલિસ્ટિક મિસાઈલ અને અનેક ક્રુઝ મિસાઈલ છોડ્યા હતા. મોટાભાગના હુમલાઓને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા અટકાવવામાં આવ્યા હતા, જ્યારે 13 લોકો માર્યા ગયા હતા અને 200 થી વધુ ઘાયલ થયા હતા. અનેક તેલ અને ઉર્જા સુવિધાઓ ઉપરાંત, મુખ્ય ઇમારતોને પણ નુકસાન થયું હતું.
યુએઈ વળતરની માંગ કરશે
યુએઈએ અગાઉ ઈરાનને હુમલાઓની જવાબદારી સ્વીકારવા અને થયેલા નુકસાનની ભરપાઈ કરવા હાકલ કરી છે. હવે, એક સમિતિ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કાનૂની કાર્યવાહીને સરળ બનાવવા માટે માનવ, આર્થિક અને સંપત્તિના નુકસાનનું વ્યાપક મૂલ્યાંકન તૈયાર કરશે. યુએઈએ ઈરાન દ્વારા આપવામાં આવેલા નિવેદનો અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી જેમાં સૂચવવામાં આવ્યું હતું કે યુએઈનો યુનાઇટેડ સ્ટેટ્સ સાથેનો સહયોગ ઈરાનની સુરક્ષા માટે ખતરો છે. યુએઈના વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ દેશ સાથે સંરક્ષણ સહયોગમાં જોડાવું એ તેનો સાર્વભૌમ અધિકાર છે.


