અંબાજી પંથકમાં પણ વાતાવરણમાં એકાએક પલટો
અંબાજી પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતા વાતાવરણમાં ઠંડીનો અહેસાસ વધ્યો છે. અચાનક બદલાયેલા હવામાનને કારણે માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો માવઠું પડે તો ખાસ કરીને ઘઉંના ઉભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી છે. વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે અને તેમના જીવ તાળવે ચોંટ્યા છે.
અમદાવાદમાં વિવાદિત આસારામ બાપુ આશ્રમ દ્વારા જમીન દબાણના મામલે મહત્વપૂર્ણ કાનૂની કાર્યવાહી
અમદાવાદમાં વિવાદિત આસારામ બાપુ આશ્રમ દ્વારા જમીન દબાણના મામલે મહત્વપૂર્ણ કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે. આશરે ૪૫ હજાર ચોરસ મીટર જમીન સંબંધિત હાઈકોર્ટના એકલ ન્યાયાધીશના નિર્ણયને વિભાગીય ખંડપીઠ સમક્ષ પડકારવામાં આવ્યો છે. મોટેરા સ્થિત આ જમીન પર આશ્રમ દ્વારા ગેરકાયદે બાંધકામ ઊભું કરાયું હોવાના આક્ષેપો છે. અગાઉ હાઈકોર્ટે રાજ્ય સરકારને જમીન પરત લેવા મંજૂરી આપી હતી. હવે આ મામલે આજે હાઈકોર્ટની વિભાગીય ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરાશે, જેને લઈને કાનૂની અને પ્રશાસનિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.
આજે ગુજરાત વિધાનસભામાં રજૂ થશે વાર્ષિક બજેટ
ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ 2026-27 માટેનું વાર્ષિક બજેટ રજૂ થવાનું છે, જેમાં નાણાપ્રધાન કનુ દેસાઇ સતત પાંચમી વખત ગૃહમાં બજેટ રજૂ કરશે. ચાલુ વર્ષનું બજેટ કદ આશરે 4 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું બજેટ સાબિત થઈ શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું વર્ષ હોવાને કારણે બજેટ ‘ફુલ ગુલાબી’ રહેવાના સંકેતો મળી રહ્યા છે અને વિવિધ વર્ગોને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ અને લોકલક્ષી જાહેરાતો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


