ભારે વરસાદ અને આંધી તોફાનના એલર્ટ વચ્ચે કેદારનાથ યાત્રા રોકાઈ
ભારે વરસાદ અને આંધી-તોફાનના એલર્ટ વચ્ચે ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા અસ્થાયી રીતે રોકવામાં આવી છે. ચારધામ યાત્રાના મુખ્ય સ્થળોએ સતત ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર સતર્ક બન્યું છે. આ દરમિયાન પૂરના પાણીથી છલકાયેલી નદીમાં ફસાયેલા લગભગ 50 લોકોને બચાવ દળોએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. બીજી તરફ ભારે ભીડ અને વરસાદને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે પર લાંબા ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે. અત્યાર સુધીમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચી ચૂક્યા હોવાથી માર્ગો પર વાહનોની ભારે અવરજવર જોવા મળી રહી છે. ઉત્તરાખંડના જોશીમઠ વિસ્તારમાં તો લગભગ 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મોંઘવારીના માર વચ્ચે નાગરિકો માટે રાહતના સમાચાર
મોંઘવારીના માર વચ્ચે સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સરકારે વિટામિન D3, કેલ્શિયમ સહિત 30 જેટલી આવશ્યક દવાઓના ભાવ નક્કી કર્યા છે, જેના કારણે દર્દીઓને સસ્તા દરે સારવાર મળી શકશે. નવા નક્કી કરાયેલા ભાવ મુજબ કેલ્શિયમ અને વિટામિન આધારિત દવાની કિંમત પ્રતિ ટેબલેટ રૂ. 19.78 રાખવામાં આવી છે. આ ઉપરાંત દુખાવો અને સોજો ઘટાડવા માટે વપરાતી કેટલીક મહત્વપૂર્ણ દવાઓની કિંમતોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. દવાઓના ભાવ પર નિયંત્રણ લાવવાના આ નિર્ણયથી દર્દીઓ અને તેમના પરિવારજનોને આર્થિક રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર મુદ્દે વિવાદ ગરમાયો, સમર્થકોએ પીપળીયાને ફેંક્યો પડકાર
રાજકોટમાં યોજાનારા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને વિવાદ વધુ ગરમાયો છે. કાર્યક્રમના વિરોધ વચ્ચે એક મહિલા ભક્તે ખુલ્લેઆમ વિરોધીઓને દરબારમાં આવીને હકીકત જોવા પડકાર ફેંક્યો છે. બીજી તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થકે પણ પુરૂષોત્તમ પીપળીયાને સીધો પડકાર આપતાં જણાવ્યું કે માત્ર નિવેદનો આપવાને બદલે જાતે દરબારમાં આવીને ખરાઈ કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે પુરૂષોત્તમ પીપળીયાએ આ કાર્યક્રમને અંધશ્રદ્ધાનો કુંભમેળો ગણાવી તેની ટીકા કરી હતી. તેના જવાબમાં સમર્થકોએ આક્ષેપ કર્યો કે પીપળીયા માત્ર લાઇમલાઇટમાં રહેવા માટે વિરોધ કરી રહ્યા છે. સમર્થકોનું કહેવું છે કે જો હિંદુઓને જાગૃત કરવા હોય તો દરબારનો અનુભવ કરીને પછી અભિપ્રાય આપવો જોઈએ.


