રાજકોટ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા SIR (Special Intensive Revision) અંતર્ગત કરવામાં આવેલી કામગીરી અંગે જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન મતદારયાદી ચકાસણી અને સુધારણા સંબંધિત મહત્વપૂર્ણ આંકડા રજૂ કરવામાં આવ્યા હતા.
કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું કે રાજકોટ જિલ્લાની કુલ ૮ વિધાનસભા મતવિસ્તારોમાં સમાવિષ્ટ કુલ ૨૩,૯૧,૦૨૭ મતદારોની BLO (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. જેમાંથી ૮,૨૩,૬૬૮ મતદારોનું ૨૦૦૨ની મતદારયાદી સાથે સેલ મેપિંગ કરવામાં આવ્યું છે, જ્યારે ૧૦,૦૬,૧૭૭ મતદારોનું વંશાવલી (પ્રોજની) મેપિંગ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ૨,૨૫,૫૧૨ મતદારોનું મેપિંગ હજુ સુધી શક્ય બન્યું નથી. ચકાસણી દરમિયાન ૮૯,૫૫૩ મતદારો અવસાન પામેલા હોવાનું જાણવા મળતા તેમના નામ ડ્રાફ્ટ મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેમજ ૫૮,૯૪૨ મતદારો સ્થળ પર મળી ન આવતા તેમના નામ પણ ડ્રાફ્ટ યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે.
કાયમી સ્થળાંતર થયેલા ૧,૬૯,૧૩૫ મતદારોના નામ ડ્રાફ્ટ મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. સાથે જ ૧૦,૭૩૬ ડુપ્લીકેટ મતદારો હોવાનું સામે આવતા તેમના નામ કમી કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય કારણોસર ૭,૩૦૪ મતદારોના નામ પણ ડ્રાફ્ટ મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે SIR અંતર્ગત આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ મતદારયાદીને વધુ શુદ્ધ, ચોક્કસ અને વિશ્વસનીય બનાવવાનો છે, જેથી આવનારી ચૂંટણીમાં પારદર્શક અને નિષ્પક્ષ પ્રક્રિયા સુનિશ્ચિત કરી શકાય.


