આપત્તિ વ્યવસ્થાપન માટે જવાબદારીઓની અવગણના કરનાર અધિકારીઓને સખત સજા આપવાની કિમ જોંગ ઉનની ચેતવણી : ઉત્તર કોરિયામાં જુલાઇમાં પૂરના કારણે 3500થી 4000 લોકોના થયા હતા મોત
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનનો તાનાશાહી ચહેરો ફરી સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેશમાં પૂરને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ 30 સરકારી અધિકારીઓને ફાંસી આપવામાં આવી હતી.
કેટલાક વધુ અધિકારીઓને ફાંસીની સજા આપવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, ઉત્તર કોરિયામાં પૂરના કારણે 3500થી 4000 લોકોના મોત થયા હતા. ચાંગાંગ પ્રાંતમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે સૌથી વધુ મોત થયા છે.
ચોસુન ટીવીએ તેના અહેવાલમાં દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાની સરકારે મૃત્યુઆંકને રોકવામાં નિષ્ફળ જવાનો આરોપ ધરાવતા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ચોસુન ટીવીએ ઉત્તર કોરિયાના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે જવાબદારોને સખત સજાનો સામનો કરવો પડશે. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગયા મહિનાના અંતમાં પૂરગ્રસ્ત વિસ્તારના 20 થી 30 અધિકારીઓ એકસાથે મારવામાં આવ્યા હતા. ઉત્તર કોરિયાની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (કેસીએનએ) એ અહેવાલ આપ્યો છે કે કિમ જોંગ ઉને જુલાઈમાં ચીનની સરહદ નજીક ચાંગાંગ પ્રાંતમાં વિનાશક પૂર પછી અધિકારીઓને સખત સજા કરવાનો આદેશ આપ્યો હતો. કેસીએનએ અનુસાર, સિનુજુમાં આયોજિત કટોકટી પોલિટબ્યુરોની બેઠકમાં કિમ જોંગ ઉને તેના અધિકારીઓને કહ્યું કે આપત્તિ વ્યવસ્થાપન માટે જેઓ તેમની જવાબદારીઓની અવગણના કરશે તેમને સખત સજા મળશે. ઉલ્લેખનીય છે કે, જુલાઈમાં ઉત્તર-પશ્ર્ચિમ પ્રાંતમાં ગંભીર પૂરને કારણે હજારો રહેવાસીઓ બેઘર થયા અને ઘણા લોકો માર્યા ગયા. દક્ષિણ કોરિયાના મીડિયા અનુસાર પૂરથી મૃત્યુઆંક ચાર હજારથી વધુ હોવાની આશંકા છે.લ