શુક્રવાર, જૂન 27, 2025

ઈ-પેપર

શુક્રવાર, જૂન 27, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeધાર્મિકઆ પવિત્ર વૃક્ષો લાવશે તમારા ઘરમાં આર્થિક સમૃદ્ધિ

આ પવિત્ર વૃક્ષો લાવશે તમારા ઘરમાં આર્થિક સમૃદ્ધિ

(આઝાદ સંદેશ) : આપણે વાત કરી રહ્યાં છીએ વૃક્ષો વિશે, એવાં વૃક્ષો વિશે કે જેનાં ગુણગાન શાસ્ત્રોમાં પણ ગવાયાં છે અને આપણાં શાસ્ત્રોને ખોલીને તેને વાંચીએ તો તે વાંચતા આપણને જાણ થશે કે વૃક્ષોને શાસ્ત્રોમાં પણ દેવતુલ્ય માનવામાં આવ્યાં છે. વાતાવરણની શુદ્ધિની સાથેસાથે ઘરમાં આવતી નકારાત્મક ઊર્જાને પણ આ વૃક્ષો ઘરથી દૂર રાખે છે. વળી જો દેવોને રીઝવવા હોય તો ઘરમાં લીલોતરી ઉગાડવી જ જોઇએ. તે વાતાવરણને સકારાત્મક અને ખુશનુમા બનાવે છે. તો ચાલો આ જ વિષય ઉપર આગળ ચર્ચા કરીએ અને જાણી લઇએ કે બીજાં કયાં કયાં વૃક્ષો છે જેને ઘરમાં ઉગાડવાથી આપણું કલ્યાણ થશે અને ભાગ્યવૃદ્ધિ થશે.
ભવિષ્યવેત્તા શમી : વિક્રમાદિત્યના સમયમાં સુપ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય વરાહમિહિરે પોતાના બૃહદ્સંહિતા નામના ગ્રંથમાં કુસુમલતા નામના અધ્યાયમાં વનસ્પતિ શાસ્ત્રમાં શમી એટલે કે ખીજડાનો ઉલ્લેખ કર્યો છે. વરાહમિહિરના કહેવા મુજબ જે વર્ષે શમી વૃક્ષ વધારે ફૂલેફાલે તે વર્ષે વરસાદ ઓછો પડતો હોય છે અને જે વર્ષે તે થોડું સૂકું રહે તે વર્ષે વરસાદ સારી રીતે થતો હોય છે. વિજયાદશમીના દિવસે આ વૃક્ષની પૂજા કરવાનું મહત્ત્વ એટલે જ છે, કેમ કે આ વૃક્ષ ખેડૂતો ઉપર આવતી વિપત્તિની આગાહી પહેલેથી જ કરી દે છે જેથી ખેડૂતોને ખ્યાલ આવી જાય કે તેમને કેટલો પુરુષાર્થ કરવાનો છે. આમ, શમી વૃક્ષ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થાય છે.
બિલ્વ વૃક્ષ : બિલ્વ વૃક્ષ મતલબ કે બિલીનું ઝાડ. ઘણાં આને બિલ કે બિલાનું ઝાડ પણ કહે છે. આ ઝાડ વિશ્વના ઘણા વિસ્તારમાં જોવા મળે છે. ભારતમાં આ વૃક્ષનું આંબો, પીપળો, વડ, લીમડાનાં ઝાડ જેટલું જ મહત્ત્વ છે. હિન્દુ ધર્મમાં બિલ્વ વૃક્ષને શિવ આરાધનાનું મુખ્ય અંગ ગણવામાં આવે છે. અને આ કારણે જ આ વૃક્ષને મંદિરની આસપાસ ખાસ ઉગાડવામાં આવે છે. બિલ્વ વૃક્ષની તાસીર ઠંડી હોય છે તેથી ગરમીમાં શીતળતા મેળવવા માટે લોકો આ વૃક્ષનાં ફળ કે જે બિલા તરીકે ઓળખાય છે તેનું શરબત કરીને પીતાં હોય છે.
તે પેટમાં ઠંડક પહોંચાડે છે. આ વૃક્ષ વિશે સ્કંદપુરાણમાં કહેવાયું છે કે એક વાર દેવી પાર્વતીએ પોતાના લલાટ ઉપરથી પરસેવો લૂંછીને હાથ નીચે કર્યો, તેમના પરસેવાનાં અમુક ટીપાં મંદાર પર્વત પર પડયાં, જેમાંથી આ વૃક્ષ ઉત્પન્ન થયું હતું. તેથી જ કહેવાય છે કે આ વૃક્ષનાં મૂળમાં ગિરીજાનો વાસ છે, તેની શાખાઓમાં દક્ષાયનીનો વાસ છે, પાંદડાંમાં પાર્વતીનો, ફૂલોમાં ગૌરીનો અને ફળમાં કાત્યાયની દેવીનો વાસ છે. આ વૃક્ષના કાંટામાં પણ કેટલીયે શક્તિઓ છુપાયેલી છે અને તેમાં મહાલક્ષ્મીનો પણ વાસ છે. જે વ્યક્તિ હંમેશાં શિવ અને પાર્વતીને પૂજામાં બિલ્વપત્ર ચઢાવે છે તેને બંનેના અખૂટ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શિવપુરાણમાં આ વૃક્ષનો મહિમા વિસ્તૃત રૂપે આલેખવામાં આવ્યો છે.
અશોક વૃક્ષ : અશોક વૃક્ષના નામનો અર્થ જ એવો થાય કે કોઇપણ પ્રકારનો શોક ન હોય તેવું વૃક્ષ. કહેવાય છે કે અશોક વૃક્ષને ઘરમાં લગાવવાથી તમારા ઘરની તમામ તકલીફ અને પીડા દૂર થાય છે. વળી આ પીડાઓ તમારા ઘરથી દૂર પણ રહે છે. ખાસ કરીને જે ઘરના વડીલોને તેમજ બાળકોને પેટની કોઇપણ પ્રકારની તકલીફ હોય તે ઘરમાં અશોક વૃક્ષ ખાસ ઉગાડવું જોઇએ. અશોક વૃક્ષ બે પ્રકારનાં હોય છે. એક તો અસલી અને બીજું તેને મળતું.
અસલી અશોક વૃક્ષને મળતું જે વૃક્ષ છે તે લાંબું હોય છે અને તેનાં પાન આંબાનાં પાન જેવાં હોય છે. તેની પર સફેદ ફૂલ આવે છે. જ્યારે અસલી વૃક્ષ આંબા જેટલું જ પહોળું અને મોટું હોય છે, તેનાં પાન આઠથી નવ ઈંચ લાંબાં અને પહોળાં હોય છે. આ વૃક્ષનાં પાનનો તાંબા જેવો કલર પણ હોય છે તેથી તેને તામ્રપલ્લવ પણ કહેવામાં આવે છે. આ વૃક્ષને ઘરમાં ઉગાડવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર