સુરતના પાલ વિસ્તારમાં ધોળા દિવસે એક XUV ચાલકે અકસ્માત સર્જ્યો હતો. મળતી માહિતી મુજબ ડ્રાઈવરે રોડ પર પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર મારતાં તે કાર પલ્ટી મારી ગઈ હતી. અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ કાર ચાલક નશાની હાલતમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માત અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠાના વિવિધ ગામોમાં પેટ્રોલ-ડીઝલ માટે લાગી લાઈનો
બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગામોમાં પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. કાંકરેજ, ધાનેરા અને ડીસા પંથકમાં લોકો વહેલી સવારથી જ કતારોમાં ઉભા રહી રહ્યા છે. મળતી માહિતી મુજબ બાઈક માટે 100 રૂપિયાનું અને ગાડી માટે 500 રૂપિયાનું પેટ્રોલ-ડીઝલ આપવામાં આવી રહ્યું છે, જ્યારે ટ્રેક્ટરમાં 700 રૂપિયાનું ડીઝલ આપવામાં આવી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે અપૂરતો પુરવઠો મળતો હોવાથી લોકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે અને લાંબી કતારો લાગી રહી છે.
સુરતઃ લસકાણા સ્વામિનારાયણ મંદિરનાં સ્વામીનું મોત
સુરતમાં લસકાણા સ્વામિનારાયણ મંદિરના પ્રિયદર્શનદાસજી સ્વામીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ સ્વામીએ ઘેનની ગોળી ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેના બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. આ ઘટનાને લઈને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ પોલીસને રજૂઆત કરી છે અને સ્વામીની આત્મહત્યાના પાછળના કારણોની તપાસ કરવાની માગ કરી છે. લસકાણા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


