કોટડા સાંગાણીમાં ફરી સિંહણની દહેશતનો અંત, વન વિભાગે શોળીયા ગામેથી રેસ્ક્યુ કર્યું
ગોંડલ | કોટડા સાંગાણી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી સિંહણની અવરજવરથી ફેલાયેલી દહેશતનો અંત આવ્યો છે. વન વિભાગની ટીમે શોળીયા ગામ નજીકથી સિંહણને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી વન વિભાગના હેલ્થ સેન્ટર ખાતે ખસેડી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સિંહણના કારણે આસપાસના ગામોમાં પશુઓના માળણના બનાવો સામે આવ્યા હતા, જેના કારણે ગ્રામજનોમાં ભય અને ચિંતા વ્યાપી હતી. ઘટનાને ધ્યાનમાં લઈ વન વિભાગ દ્વારા સતત મોનીટરિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું.
રેસ્ક્યુ બાદ સિંહણના આરોગ્યની પશુચિકિત્સકો દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવશે. આરોગ્ય ચકાસણી પૂર્ણ થયા બાદ સિંહણને યોગ્ય અને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, એવું વન વિભાગે જણાવ્યું છે.
વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે તેઓ અફવા પર ધ્યાન ન આપે અને કોઈપણ રીતે વન્યપ્રાણીઓ સાથે છેડછાડ ન કરે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.


