ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વચ્ચે ભારતીય દૂતાવાસે ઈઝરાયલમાં રહેતા ભારતીય નાગરિકોને પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી હતી. તેમણે નાગરિકોની સુવિધા માટે હેલ્પલાઈન નંબરો જારી કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અન્ય કોઈપણ પ્રકારની સહાય મેળવવા માટે, પહેલા દૂતાવાસમાં નોંધણી કરાવવી જરૂરી છે.
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા પાંચ દિવસથી સંઘર્ષ ચાલી રહ્યો છે. બંને દેશો સતત એકબીજા પર મિસાઇલ અને ડ્રોન હુમલા કરી રહ્યા છે. ઇરાન સાથે વધતા તણાવ વચ્ચે ઇઝરાયલે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. આ દરમિયાન, તેલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસે ઇઝરાયલમાં રહેતા ભારતીય નાગરિકોને એક મહત્વપૂર્ણ સલાહ આપી છે.
ભારતીય દૂતાવાસે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી હતી. તેમણે નાગરિકોને ઇઝરાયલી હોમ ફ્રન્ટ કમાન્ડની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે નાગરિકો નિયમિતપણે અપડેટ રહેવા માટે https://www.oref.org.il/eng વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
ભારતીય નાગરિકોને ચોવીસ કલાક સહાય પૂરી પાડવા માટે ભારતીય દૂતાવાસે તેના હેલ્પલાઇન નંબરો સક્રિય કર્યા છે. જેમને વર્તમાન પરિસ્થિતિ સંબંધિત સહાય અથવા માહિતીની જરૂર હોય, તેમના માટે દૂતાવાસે ફોન નંબર અને ઇમેઇલ આઈડી પ્રદાન કર્યા છે જેના દ્વારા તેમનો સંપર્ક કરી શકાય છે.