દેશના પૂર્વ ચીફ ઈલેક્શન કમિશનર એસ.વાય. કુરેશીએ કહ્યું મારી નીતિઓને કારણે ભાજપને ફાયદો થયો હતો
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : દેશના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશીએ વર્તમાન ચૂંટણી પંચપર વિપક્ષ સાથે અન્યાયપૂર્ણ વર્તન કરવાનો ગંભીર આરોપ લગાવીને ખળભળાટ મચાવી દીધો છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે સ્પષ્ટ કર્યું કે તેમના કાર્યકાળમાં વિપક્ષને પ્રાથમિકતા આપવાની નીતિ હતી, જેનો સૌથી વધુ ફાયદો તે સમયે વિપક્ષમાં રહેલી ભારતીય જનતા પાર્ટીને થયો હતો.જો કે, વર્તમાન સમયમાં ચૂંટણીપંચ વિપક્ષને અન્યાય કરી રહ્યો હોવાનું સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું.
ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઇન્ટરવ્યુમાં દેશના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશીએ વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વવાળા ચૂંટણી પંચની આલોચના કરી હતી. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચનું વિપક્ષ પ્રત્યેનું વલણ માત્ર થોડું નહીં, પરંતુ અત્યંત અન્યાયપૂર્ણ છે. આ જ કારણ છે કે 23 વિપક્ષી દળોએ ચૂંટણી પંચ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે પંચ વિપક્ષને સાંભળવાની તક પણ આપી રહ્યું નથી, જે સ્વીકારી શકાય નહીં.
પોતાના કાર્યકાળની વાત કરતા કુરેશીએ જણાવ્યું કે, મારી સ્પષ્ટ નીતિ હતી કે વિપક્ષને સાથ આપો, કારણ કે તેઓ સત્તાથી દૂર અને ઉપેક્ષિત હોય છે. મેં મારા અધિકારીઓને આદેશ આપ્યો હતો કે વિપક્ષ માટે હંમેશા દરવાજા ખુલ્લા રાખો. જો સરકાર અને વિપક્ષ બંને તરફથી મળવાની વિનંતી આવે, તો હંમેશા વિપક્ષને જ પ્રાથમિકતા આપો.તેમણે વધુમાં દાવો કર્યો કે તેમના પૂરા કાર્યકાળ દરમિયાન ભાજપ દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી હતી અને તેમની નીતિઓથી ભાજપને ઘણો લાભ થયો હતો. જો આજે કેટલાક ભાજપના નેતાઓ તેમની ટીકા કરે છે, તો તેઓ આ હકીકતને નજરઅંદાજ કરી રહ્યા છે. ચૂંટણી પંચે હંમેશા વિપક્ષનો વિશ્વાસ જીતવો જોઈએ.
મહત્વનું છે કે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશીએ મીડિયાની કાર્યપ્રણાલી પર પણ નિશાન સાધતા કહ્યું કે, લોકશાહીમાં સરકારે જનતાને જવાબ આપવાનો હોય છે, પરંતુ મીડિયા સરકારને સવાલ પૂછવાને બદલે વિપક્ષને સવાલો કરે છે અને ભૂતકાળમાં નહેરુના સમય સુધી જતું રહે છે. આજે વિપક્ષે મુલાકાત માટે ભીખ માંગવી પડે છે અને સમય ન મળતા ચીફ જસ્ટિસને પત્ર લખવો પડે છે, જે લોકશાહી માટે ચિંતાજનક હોવાનું અંતમાં જણાવ્યું હતું.


