વોશિંગટન, 25 જુલાઈ : અમેરિકાએ પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. અમેરિકાએ પોતાની ટ્રાવેલ એડવાઈઝરીમાં જણાવ્યું કે નાગરિકો ભારતના જમ્મુ-કાશ્મીર અને મણિપુર જેવા વિસ્તારોની મુલાકાત લેવાનું ટાળે. આ એડવાઈઝરીમાં કહેવાયું છે કે અમેરિકન નાગરિકો એ વિસ્તારોમાં જતાં બચે જ્યાં નક્સલીઓ અને આતંકવાદીઓ સક્રિય છે.
અમેરિકા જાહેર કરેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં જણાવ્યું કે ભારતના મણિપુર, જમ્મુ-કાશ્મીર, ભારત-પાકિસ્તાન સરહદ અને દેશના મધ્ય અને પૂર્વીય ભાગોમાં મુસાફરી ન કરવા કહેવામાં આવ્યું છે. ભારત માટે સંશોધિત ટ્રાવેલ એડવાઈઝરીમાં વિદેશ વિભાગે કહ્યું કે અપરાધ અને આતંકવાદને કારણે ભારતમાં સાવચેતીમાં વધારો કરાયો છે. કેટલાક વિસ્તારોમાં જોખમ વધી ગયું છે. એકંદરે ભારતને લેવલ 2 પર રાખવામાં આવ્યું છે. પરંતુ દેશના ઘણા ભાગોને લેવલ 4 પર રાખવામાં આવ્યા છે.
તેમાં જમ્મુ અને કાશ્મીર, ભારત-પાકિસ્તાન સરહદ, મણિપુર અને મધ્ય અને પૂર્વ ભારતના કેટલાક ભાગોનો પણ સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ભારત-પાકિસ્તાન સરહદના વિસ્તારમાં આતંકવાદને કારણે તથા મધ્ય અને પૂર્વ ભારતના મણિપુરમાં હિંસા અને અપરાધને કારણે સશસ્ત્ર સંઘર્ષની સંભાવનાને ધ્યાનમાં રાખી અમેરિકાએ પોતાના નાગરીકો માટે આ એડવાઈઝરી જાહેર કરી છે. આ સાથે અમેરિકી નાગરિકોને આતંકવાદ અને હિંસાને કારણે પૂર્વોત્તર રાજ્યોની મુસાફરી પર પુનર્વિચાર કરવાની ભલામણ કરી હતી.