પહેલગામ આતંકવાદી હુમલા પછી પીએમ મોદીની ખીણની પહેલી મુલાકાતને ધ્યાનમાં રાખીને, જમ્મુ અને કાશ્મીરમાં ઉચ્ચ સુરક્ષા ચેતવણી જારી કરવામાં આવી છે. પોલીસ, અર્ધલશ્કરી દળો, સેના અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સુરક્ષા માટે ડ્રોન સહિતના નવા સાધનો તૈનાત કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે છે અને તેમની મુલાકાત માટે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉદ્ઘાટન પહેલા પીએમ મોદીએ ચિનાબ રેલ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ ટૂંક સમયમાં પુલનું ઉદ્ઘાટન કરશે. આ પહેલા તેમણે પુલ માટે કામ કરતા કામદારોને મળ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા હતા.
પીએમ મોદી આજે બહુપ્રતિક્ષિત કાશ્મીર રેલ લિંકનું ઉદ્ઘાટન કરશે. આ સાથે, તેઓ કટરામાં 46,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. પીએમની મુલાકાત પહેલા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સુરક્ષાની પણ સમીક્ષા કરી હતી. 22 એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યા પછી પીએમ મોદીની આ કેન્દ્રશાસિત પ્રદેશની આ પહેલી મુલાકાત છે. પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા.