પાકિસ્તાને ગુરુવારે (8 મે, 2025) જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં લશ્કરી ઠેકાણાઓ પર મિસાઇલોથી હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ આકાશમાં પાકિસ્તાનના તમામ મિસાઇલો અને ડ્રોનને તોડી પાડ્યા. ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને પોતાના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય સરહદ નજીક જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં લશ્કરી મથકોને પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ બધી મિસાઇલોને હવામાં જ નિષ્ક્રિય કરવામાં આવી હતી. કોઈ નુકસાન થયું ન હતું. તમામ ધમકીઓનો સામનો કરવામાં આવ્યો હતો અને માનક સંચાલન પ્રક્રિયાઓ અનુસાર લક્ષ્યોનો નાશ કરવામાં આવ્યો હતો.” ગુરુવારે સાંજે પઠાણકોટ, અમૃતસર, જલંધર, હોશિયારપુર, મોહાલી અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ સહિત પંજાબના અનેક જિલ્લાઓમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે આ પગલું ભરવામાં આવ્યું હતું.
શ્રીનગર સહિત પંજાબ અને રાજસ્થાનમાં સાયરન વગાડવામાં આવ્યા હતા અને નાગરિકોને તેમના ઘરોમાં રહેવાની સૂચના આપવામાં આવી હતી. ભારતે પાકિસ્તાનના ઘણા ફાઇટર જેટ પણ તોડી પાડ્યા છે. ભારતે પાકિસ્તાનના 2 JF 17 અને એક F-16 તોડી પાડ્યા છે. આ પાકિસ્તાની લડાકુ વિમાનો ભારતીય ક્ષેત્રમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેને ભારતે તોડી પાડ્યા છે.