ચીની નાગરિકો માટે ભારતીય વિઝા: માર્ચ 2020 માં, ભારતે કોવિડ-19 રોગચાળાને કારણે તમામ પ્રવાસી વિઝા અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધા હતા. ત્યારથી, ચીની નાગરિકો માટે વિઝા સેવાઓ બંધ કરવામાં આવી હતી.
ભારત સરકારે પાંચ વર્ષના લાંબા ગાળા પછી ચીની નાગરિકોને પ્રવાસી વિઝા આપવાની જાહેરાત કરી છે. આ પ્રક્રિયા 24 જુલાઈ, 2025 થી ફરી શરૂ કરવામાં આવશે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે બુધવારે આ નિર્ણયની માહિતી આપી. નોંધનીય છે કે માર્ચ 2020 માં, ભારતે કોવિડ-19 રોગચાળા દરમિયાન ચેપ અટકાવવા માટે તમામ પ્રવાસી વિઝાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધા હતા. ત્યારથી ચીની નાગરિકો માટે વિઝા સેવા બંધ હતી.
દૂતાવાસે એ પણ સ્પષ્ટતા કરી હતી કે બેઇજિંગમાં ભારતીય વિઝા સેન્ટરમાં પાસપોર્ટ પરત કરવા માટે અરજી કરતી વખતે યોગ્ય રીતે સહી કરેલ ‘પાસપોર્ટ ઉપાડ પત્ર’ ફરજિયાત રહેશે. જૂન 2020 માં કોવિડ-19 રોગચાળા અને ગાલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણ પછી બંને દેશો વચ્ચે મુસાફરી અને ક્રિયાપ્રતિક્રિયા લગભગ સ્થગિત થઈ ગઈ હતી. પાછલા વર્ષોમાં, ચીને ભારતીય વિદ્યાર્થીઓ અને ઉદ્યોગપતિઓને વિઝા આપવાનું શરૂ કર્યું હતું, પરંતુ સામાન્ય મુસાફરી પર પ્રતિબંધો યથાવત રહ્યા હતા.