રાજકોટના રૈયા રોડ પર કૈલાશધારા પાર્ક નજીક આવેલા દર્શન સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ મીત અંકિતભાઈ માંડલિયાનું 10મા માળેથી પડતા મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરી રહી છે. ઘટનાએ પરિવારજનો અને સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાવી છે.
રાજકોટ-મોરબી હાઇવે પર બેડી ગામનો રોષ, રોડ મુદ્દે ચક્કાજામ
રાજકોટ-મોરબી હાઇવે પર બેડી ગામ નજીક રોડના પ્રશ્ને ગ્રામજનોનો રોષ રસ્તા પર જોવા મળ્યો. લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે ગ્રામજનોએ ચક્કાજામ કરતાં હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
લગભગ 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ગ્રામજનોને સમજાવી ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ વાહન વ્યવહાર ફરીથી રાબેતા મુજબ શરૂ થયો હતો.


