રાજકોટ: ખોડલધામમાંથી આજે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ 2026 દરમિયાન આ જાહેરાત કરવામાં આવી.
નરેશ પટેલે જણાવ્યું કે સંગઠનની ભાવિ કામગીરીને વધુ સુવ્યવસ્થિત, સક્રિય અને વ્યાપક બનાવવા માટે અનાર પટેલને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. હવે ખોડલધામ સંગઠનનું દૈનિક સંચાલન, આયોજન અને સામાજિક પ્રવૃત્તિઓની દિશા અનાર પટેલના નેતૃત્વ હેઠળ આગળ વધશે.
સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સક્રિય રહેલા અનાર પટેલના નેતૃત્વથી ખોડલધામ સંગઠનના વિવિધ સેવા, શિક્ષણ અને સંસ્કૃતિ સંબંધિત કાર્યોને નવી ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ નિર્ણયથી લેઉવા પટેલ સમાજ સહિત રાજ્યભરમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.


